ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવા મનીષ તિવારીની માંગ
abpasmita.in | 26 Oct 2019 12:57 PM (IST)
કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ પીએમ મોદીને આગ્રહ કર્યો કે 26 જાન્યુઆરી 2020ના રોજ આ ત્રણેય શહીદોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે.
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ મનીષ તિવારીએ સ્વતંત્રતા સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર લખીને આ ત્રણેય ક્રાંતિકારીઓને ભારત રત્ન આપવાની માંગ કરી છે. સાથે મોહાલી સ્થિત એરપોર્ટનું નામ શહીદ-એ-આઝમ સિંહ એરપોર્ટ કરવાનો પણ આગ્રહ કર્યો છે. તિવારીએ કહ્યું કે શહીદ ભગત, રાજગુરુ અને સુખદેવે બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે પ્રતિરોધ કર્યો અને તેમનાથી દેશભક્તોની એક આખી પેઢી પ્રેરિત થઈ છે અને આ ક્રાંતિકારીઓએ 23 માર્ચ 1931ના રોજ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમણે પીએમ મોદીને આગ્રહ કર્યો કે 26 જાન્યુઆરી 2020ના રોજ આ ત્રણેય શહીદોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. સાથે તેમણે આગ્રાહ કર્યો છે કે તેઓને અધિકારિક રીતે શહીદ-એ-આઝમ જાહેર કરવામાં આવે. પીએમ મોદીને લખેલો પત્ર મનીષ તિવારીએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.