નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂરો થશે. આ પહેલા આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝને ફરીથી શરૂ કરવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે.


ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે, ઉદ્યોગો ફરીથી શરૂ કરતી વખતે પ્રથમ સપ્તાહને ટ્રાયલ તરીકે જોવામાં આવશે. આ દરમિયાન તમામ પ્રકારની સુરક્ષા અને પ્રોટોકોલનું પાલન કરવું પડશે. થોડા સમય માટે ઉત્પાદનનો વધારે લક્ષ્યાંક હાંસલ કરવાનો પ્રયત્ન ન કરવામાં આવે તેમ પણ કહેવામાં આવ્યું છે.



તમામ મશીનોને સમયાંતરે સેફ્ટી નોર્મ્સ પ્રમાણે નિરીક્ષણ કરવામાં આવશે. જે ફેક્ટરીમાં કોઈ ટેકનીકલી સમસ્યા હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવો પડશે.

વિશેષ ઉદ્યોગો માટેના દિશા નિર્દેશમાં જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમિયાન કાચો માલ ખરાબ થઈ ગયો છે કે નહીં તે ચકાસવામાં આવે. સ્ટોરેજ એરિયામાં પ્રકાશ અને હવા આવવા જવાની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે ચેક કરવામાં આવે.

ફેકટરી ચાલુ કરતા પહેલા પરિસરનું સેફ્ટી ઓડિટ કરવામાં આવે, તમામ પાઈપ, ઉપકરણ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં તે જોવામાં આવે. બોયલરનો ઉપયોગ કરતા પહેલા ચેક કરવામાં આવે. જરૂર પડવા પર ઈમરજન્સી ટીમ કે એક્પર્ટ પ્રોફેશનલ ટીમ જલદીથી ઘટના સ્થળે પહોંચે તેમ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે.
દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 62,939 પર પહોંચી છે. જેમાંથી 41,472 એક્ટિવ પેશન્ટ છે અને 2109 લોકોના મોત થયા છે. જ્યારે 19,357 સાજા થઈ ગયા છે.