નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર 17 સપ્ટેમ્બર 2020ના રોજ બેરોજગાર દિવસ મનાવવાની ખૂબ ચર્ચા છે. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. ત્યારે રોજગાર સાથે જોડાયેલ એક દાવો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકારે નવી નોકરીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે એટલે કે હવે સરકારી નોકરી માટે ભરતી કરવામાં નહીં આવે.


આ સાથે જ એક એ ન્યૂઝ ચેનલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. જેમાં એન્કર બોલે છે કે ગઈકાલે સાંજે નાણા મંત્રાલય તરફતી એક મેમોરન્ડમ બહાર પાડવામાં આવ્યો છે. કેટલાક દાવાઓ સાથે નાણા મંત્રાલય તરફથી 4 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલ એક ઓફિસ મેમોરેન્ડમની તસવીર પણ વાયરલ થઈ રહી છે.


જોકે ભરતી પર પ્રતિબંધ લગાવાવના દાવાને મોદી સરકારે ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયની ડોનલ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો એટલે કે પીઆઈબીએ આ દાવાને ફગાવી દીધો છે. આ મામલે પીઆઈબી ફેક્ટ ચેકે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કહ્યું છે કે, આ દાવો ભ્રામક છે. SSC, UPSC વગેરે જેવી સરકારી એજન્સીઓના માધ્યમથી ભરતીઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.