મુંબઇઃ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોથી સંકેત મળે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અપરાજેય નથી. શિવસેનાના મુખપત્ર સામનામાં રાઉતે ભાજપની  ટીકા કરતા કેજરીવાલના વિકાસ કાર્યોના વખાણ કર્યા હતા.

રાઉતે કહ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન અપરાજેય લાગી રહેલી ભાજપ દિલ્હીમાં કારમી રીતે હારી ગઇ છે. કોઇ દેશ ધર્મ વિનાનો નથી પરંતુ ધર્મનો અર્થ દેશભક્તિ નથી. ભગવાન હનુમાનના ભક્ત કેજરીવાલ દિલ્હીમા રામ રામજ્ય લઇ આવ્યા જ્યારે ભાજપ તો ભગવાન રામને લગભગ ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા હતા. રાઉતે સવાલ કર્યો હતો કે ભાજપના નેતાઓ કહેતા હતા કે જે ભગવા પાર્ટીને મત નહી આપે તે દેશદ્રોહી હશે તો શું આખી દિલ્હી દેશદ્રોહી ગણાશે.

તેમણે કહ્યુ કે દિલ્હીના પરિણામો સંકેત આપે છે કે મોદી અને શાહ અપરાજેય રહ્યા નથી. રાજકીય લાભ માટે ધાર્મિક તોફાન ઉઠાવવામાં આવ્યું પરંતુ મતદાતાઓ તેમાં ફસાયા નહીં.