Monkeypox Case In India: ભારતમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. કેરળ (Kerala)ના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર, UAEથી કોલ્લમ પરત ફરેલા વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં તે વ્યક્તિમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે.


સંક્રમિત વ્યક્તિ 12 જુલાઈના રોજ કેરળ પહોંચ્યો 
વીણા જ્યોર્જે કહ્યું કે તે વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો દેખાયા હતા અને તે વિદેશમાં મંકીપોક્સના દર્દીના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે કેરળ સરકારે મંકીપોક્સને લઈને ગાઈડલાઈન  બહાર પાડી છે. ચેપગ્રસ્ત વ્યક્તિની સ્થિતિ હજુ પણ સ્થિર છે. સંપર્કમાં આવેલા વ્યક્તિઓની માહિતી મેળવી લેવામાં આવી છે. સંક્રમિત વ્યક્તિ 12 જુલાઈના રોજ રાજ્યમાં પહોંચ્યો હતો.


કેન્દ્ર સરકાર સતર્ક 
મંકીપોક્સના પુષ્ટિ થયેલા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કેરળમાં ટીમ મોકલી છે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગો સાથે મળીને કામ કરશે અને જમીનની સ્થિતિનો અભ્યાસ કરશે અને જરૂરી જાહેર આરોગ્ય દરમિયાનગીરીઓની ભલામણ કરશે.






આરોગ્ય સચિવે રાજ્યોને પત્ર લખ્યો 
મંકીપોક્સને લઈને કેન્દ્રીય આરોગ્ય સચિવે  સચિવ રાજેશ ભૂષણે આજે રાજ્યોને પત્ર લખીને મંકીપોક્સ માટે બનાવેલી ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે ડબ્લ્યુએચઓ અનુસાર, 50 દેશોમાંથી મળેલી માહિતી અનુસાર, 1 જાન્યુઆરીથી 22 જૂન સુધીમાં, લેબમાં પુષ્ટિ થયેલ મંકીપોક્સના 3,413 કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે આમાંથી મોટાભાગના કેસ યુરોપીયન ક્ષેત્ર અને અમેરિકા ખંડમાંથી આવ્યા છે.


શું છે મંકીપોક્સ વાયરસ? 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન - WHO અનુસાર, મંકીપોક્સ એ એક વાયરસ છે જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. મંકીપોક્સના લક્ષણો શીતળાના દર્દીઓમાં જોવા મળતા લક્ષણો જેવા જ છે. જોકે તેનો ચેપ તબીબી રીતે ઓછો ગંભીર છે.