અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો અને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે લગભગ ચાર મહિના સુધી ચોમાસાની ઋતુમાં સામાન્યથી વધારે વરસાદ પડ્યા પછી 10મી ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


હવામાન વિભાગ (IMD)ના ઉત્તર ક્ષેત્રના મુખ્ય વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ચાર ઓક્ટોબર પછી ચોમાસાની સંભવિત ગતિવિધિને જોઈને પશ્ચિમ રાજસ્થાનમાં 10 ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લઈ શકે છે. જોકે, શ્રીવાસ્તવે જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ હવે હટી ગઈ છે. અને તે હવે રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. કેમ કે, સતત વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થયું છે. અને લીલા દુકાળની પણ ભીતિ સેવાઈ રહી હતી.

આ વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હોવા અંગે જણાવતા શ્રીવસ્તવે જણાવ્યું કે, 30મી સપ્ટેમ્બર સુધી દેશમાં સામાન્યથી વધારે 109 ટકા વરસાદ પડ્યો છે. આ મામલે હરિયાણા અને દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં વરસાદમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમના કહેવા પ્રમાણે આગામી બે દિવસમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. નોંધનીય છે કે હવામાન વિભાગ તેમજ હવામાન સાથે જોડાયેલી ખાનગી સંસ્થા 'સ્કાયમેટે' દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થતા પહેલા સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પરથી ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી છે. અને ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ હવે રાજ્ય પરથી હટી ગઈ છે. ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે. હજી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જો કે, વરસાદની તીવ્રતા ઘટશે. હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલી આ આગાહીને પગલે ખેડૂતો અને ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લીધો છે.