નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ (જમ્મુ કાશ્મીર અને લદાખ)જાહેર કરવા અને આર્ટિકલ 370ને હટાવ્યાના નિર્ણય બાદથી ઘાટીમાં તણાવપૂર્ણ શાંતિ છે. કાશ્મીર ઘાટીમાં સંચાર વ્યવસ્થા ઠપ્પ થવા અને તમામ પ્રતિબંધો વચ્ચે સુરક્ષા એજન્સીઓને રાજનેતાઓ, કાર્યકર્તાઓ સહિત 100થી વધારે લોકોની શાંતિ માટે ખતરો ગણાવીને ધરપકડ કરવામાં આવી છે. આ તમામને સરકારના નિર્ણય બાદ ઘાટીમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે ધરપકડ કરાઇ છે.


રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટી કરતા કહ્યું કે, રાજ્યમાં 100થી વધુ રાજનેતાઓ અને કાર્યકર્તાઓની ઘાટીમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેમણે આ સંબંધમાં વિસ્તૃત જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોને અને ઇમરાન અંસારીની ધરપકડ કરી છે. અધિકારીઓ કહ્યું કે, નેતાઓને હરિનિવાસમાં રાખવામાં આવ્યા છે. કાશ્મીર ઘાટીમાં તેમની ગતિવિધિઓથી શાંતિ ડહોળાવવાનો ડરને કારણે મેજીસ્ટ્રેટે તેમની ધરપકડના આદેશ આપ્યા હતા.

નોંધનીય છે કે મંગળવારે રાષ્ટ્રપતિ દ્ધારા આર્ટિકલ 370 કાયદો હટાવવાની મંજૂરી મળ્યા બાદથી કાશ્મીર ઘાટીમાં તણાવનું વાતાવરણ છે. એક તરફ જ્યાં દક્ષિણ કાશ્મીરના તમામ જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા છે. તે ઇન્ટરનેટ અને રેલ સેવાઓ બંધ કરાઇ છે. રાજ્યમાં કાયદાની વ્યવસ્થા પર સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે.