ભોપાલઃ મધ્યપ્રદેશની કમલનાથ સરકાર સંકટમાં આવી ગઇ છે. રાજ્ય સરકારના છ મંત્રીઓ સહિત 16 ધારાસભ્યો ગુમ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ કહ્યું કે આ ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે. મુખ્યમંત્રી કમલનાથ પોતાનો દિલ્હી પ્રવાસ પૂર્ણ કરીને ભોપાલ પાછા આવ્યા છે. ભોપાલ આવતા જ તેમણે પોતાના ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવી છે.  આ બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથ, વરિષ્ઠ કોગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહેશે. મુખ્યમંત્રી કમલનાથે એએનઆઇને કહ્યુ કે,ભાજપથી હવે સહન થઇ રહ્યું નથી. ભાજપે 15 વર્ષમાં જે ભ્રષ્ટાચાર કર્યા છે તે હવે સામે આવી રહ્યા છે. એટલા માટે તે લોકો પરેશાન છે. કમલનાથના નજીકના સૂત્રોએ કહ્યું કે, રાજ્યમાં કોગ્રેસ સરકાર પર કોઇ ખતરો નથી. મધ્યપ્રદેશમાં ભાજપ પણ સક્રીય થઇ ગયો છે. ભાજપના જ છ ધારાસભ્યો બેંગલુરુમાં છે. ભાજપે મંગળવારે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.