નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની વચ્ચે હવે બ્લેક ફંગસ નામની બીમારી પણ જોવા મળી રહી છે. કોરોનામાંથી મુક્ત થયેલા અનેક લોકો આ રોગમાં સપડાયા છે. જે રીતે રેમડેસિવિર માટે બીમાર વ્યક્તિના પરિવારજનોએ ભટકવું પડતું હતું તેવી જ રીતે બ્લેક ફંગસ બીમારીથી પીડિતા લોકોના પરિવારજનો ભટકી રહ્યા છે. બ્લેક ફંગસના દર્દીને આપવામાં આવતું ઈન્જેક્સ બજારમાં મળતું ન હોવાની ફરિયાદ મળી રહી છે. આ દરમિયાન એઇમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, ડો. ગુલેરિયાએ કહ્યું કોરોનાની સાથે ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે વધારે મોત થઈ રહ્યા છે. ફંગસ ઈન્ફેક્શન પહેલા ભાગ્યે જ જોવા મળતું હતું. જે લોકોમાં શુગર વધારે હોય, ડાયાબિટીસ અનિયત્રિંત હોય, ઈમ્યુનિટી ઓછી હોય કે કેન્સરના દર્દીમાં જોવા મળતું હતું. સામાન્ય દર્દીમાં જોવા મળતું નહોતું પરંતુ હાલ કોરોનાના કારણે આવા ઘણા કેસ આવી રહ્યા છે. એઇમ્સના ફંગલ ઈન્ફેક્શનના 23 મામલા છે. જેમાંથી 20 કોરોના પોઝિટિવ છે અને 3 કોરોના નેગેટિવ છે.


તેમણે એમ પણ કહ્યું, મ્યુકોરમાયકોસિસના કણ માટી, હવા અને ખોરાકમાં પણ જોવા મળે છે. પરંતુ તેની પ્રાણઘાતકતા ઓછી હોય છે અને સામાન્ય રીતે ચેપ ફેલાવતાં નથી. કોવિડ પહેલાં આ ચેપના બહુ ઓછા કેસો હતા. હવે કોવિડને કારણે મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. સ્ટીરોઈડનો દુરુપયોગ ફંગલ ઈન્ફેકશનનું મુખ્ય કારણ છે. ડાયાબિટીઝની સાથે કોરોના ઈન્ફેક્શનવાળાને જો સ્ટીરોઈડ આપવામાં આવે તો ફંગલ ઈન્ફેક્શનો ખતરો વધી જાય છે. તેથી સ્ટીરોઈડનો ગેરઉપયોગ ઘટાડવો પડશે. માઈલ્ડ ઈન્ફેક્શનવાળા દર્દી અને જે લોકોનું ઓક્સિજન લેવલ ઓછું નથી તેમને સ્ટીરોઈડ આપવાથી ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.



શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?


બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.


કઈ વ્યક્તિ મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે સંક્રમિત થઈ શકે ?


જે લોકો અગાઉથી જ કોઈ રોગથી પીડાતા હોય છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી હોય, જેનું ડાયાબિટીસ નિયંત્રણમાં ના હોય.  સ્ટેરોઇડને લીધે ઈમ્યુનિટી પર અસર થઈ હોય અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે, તેમને આ ફંગલ ઈન્ફેક્શ જલ્દી થઈ શકે છે.


શું કરવું, શું ન કરવું


- હાઈપરગ્લાઈસીમીયા એટલે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો.


- કોરોનાથી સાજા થયા બાદ અથવા ડાયાબિટીઝમાં બ્લડ ગ્લુકોઝના સ્તરનું નિરીક્ષણ કરતા રહો .


- સ્ટેરોઇડ્સનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો.


- ઓક્સિજન થેરાપી દરમિયાન હ્યુમિડિફાયર્સમાં સ્વચ્છ, સ્ટરાઈલ પાણીનો ઉપયોગ કરો.


- એન્ટિબાયોટિક્સ અથવા એન્ટી ફંગલ દવાઓનો ઉપયોગ કરો


- સંક્રમણના લક્ષણોને નજરઅંદાજ ન કરવું.


- બંધ નાકના દરેક કિસ્સામાં, એવું ન માનો કે તે બેક્ટેરિયાના સાઈનસાઈટિસના કારણે છે, ખાસ કરીને એવા દર્દીઓમાં, જેમની દવાઓના કારણે પ્રતિરોધક ક્ષમતા નબળી પડી છે.


- ફંગલ ઇન્ફેક્શનની તપાસ માટે મોટા પગલા લેવામાં અચકાશો નહીં.


- મ્યુકોરમાઈકોસિસ હોય તો સારવાર શરૂ કરવામાં જરા પણ સમય બગાડશો નહીં.


લક્ષણ અને ખતરો....


સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનીએ તો મ્યુકૉરમાયકોસિસ (બ્લેક ફંગસ)ના લક્ષણોમાં માથાનો દુઃખાવો, તાવ, આંખોમાં દુઃખાવો, નાક બંધ થવુ, સાઇનસ અને જોવાની ક્ષમતામાં થોડી થોડી અસર પડે છે. બ્લેક ફંગસ દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધતી જઇ રહી છે.