મુંબઈઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં કોરોના સંક્રમિતની સંખ્યા એક લાખ 28 હજારને પાર કરી ગઈ છે. રાજ્યમાં કોરોનાના 60 ટકાથી વધારે કેસ માત્ર મુંબઈમાં જ સામે આવ્યાં છે. મુંબઈમાં કોરોનાની સ્થિતિને જોતા ઘણાં લોકો આમ આદમીની મદદ માટે આગળ આવી રહ્યા છે. અહીં એક બિલ્ડરે પોતાની નવનિર્મિત 19 માળની બિલ્ડિંગ કોવિડ-19 સુવિધાઓ માટે બીએમસીને સોંપી દીધી છે, જેથી બીએમસીએ બિલ્ડિંગનો ઉપયોગ કોવિડ-19 હોસ્પિટલ માટે કરી શકે.


300 કોરોના દર્દી બિલ્ડિંગમાં કરવામાં આવ્યા શિફ્ટ

મલાડના એસવી રોડ સ્થિતિ આ બિલ્ડિંગમાં 130 ફ્લેટ્સ છે. આ બિલ્ડિંગને કોવીડ-19 હોસ્પિટલમાં ફેરવવવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી ઓક્યૂપેશન સર્ટિફિકેટ પણ મળી ગયું છે. બિલ્ડિંગમાં એક ફ્લેટમાં ચાર કોરોના દર્દીને રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલ જાણકારી અનુસાર બિલ્ડિંગમાં 300 કોરોના દર્દીને શિફ્ટ કરવામાં આવ્યા છે.

શિજી શરન ડેવલપર્સની છે બિલ્ડિંગ

કહેવાય છે કે, શિજી શરન ડેવલપર્સના મેહુલ સિંઘવીએ આ પ્રશંસાપૂર્ણ કામ કર્યું છે. સિંઘવીએ કહ્યું કે, ‘મેં ભાડુઆતો સાથે વાતચીત બાદ મારી મરજથી આમ કરવાનો નિર્ણય કર્યો. હાલમાં બિલ્ડિંગનો ઉપયોગ કોરોના દર્દીઓને કોરેન્ટાઈન સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે.’

ધારાસભ્યે કર્યા મેહુલ સિંઘવીના વખાણ

ઉત્તર મુંબઈના ધારાસભ્યએ કહ્યું કે, તે મેહુલ સિંઘવીના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, મલાડમાં કોરોનાના સતત વધતા કેસને જોતા બિલ્ડિંગના માલિકે આ નિર્ણય કર્યો. ધારાસભ્યએ કહ્યું, ‘હું ખુશ છું કે મેહુલ જેવા લોકો આ મુશ્કેલ સમયમાં મદદ માટે આગળ આવી રહ્યા છે. અમને આશા છે કે આવી જ રીતે લોકો પણ મદદ માટે આગળ આવશે. જથી આપણે વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકીએ.’