2021ની શરૂઆતમાં જ કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર મળે તેવા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સંકેત આપ્યા છે. કોરોના સંક્રમણ પર હવે વિજય હાથવેંતમાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સર્વદળીય બેઠક પૂર્ણ થયા બાદ નિવેદન આપતા જણાવ્યું કે ગણતરીના અઠવાડિયામાં દેશમાં કોરોના વેક્સીન આવી જશે.


કોરોના સામે રસીકરણ શરૂ થવાને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે. કોરોના વેક્સીનની કિંમત અંગે કેંદ્ર સરકાર રાજ્યો સાથે સમન્વય કરશે.

પહેલા કોરોના રસી કોને આપવામાં આવશે. આ સવાલના જવાબમાં આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન શ્રમિકો અને ગંભીર પરિસ્થિતિઓથી પીડિત વૃદ્ધોને રસી આપવામાં આવશે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, ‘અંદાજે 8 એવી સંભવિત વેક્સિન છે જેનું ટ્રાયલ અલગ અલગ તબક્કામાં ચાલી રહ્યું છે અને જેનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. ભારતની પોતાની 3 વેક્સીનનું ટ્રાયલ અલગ અલગ તબક્કામાં છે. નિષ્ણાંતોનું કહેવું છે કે રસી માટે હવે વધારે રાહ નહીં જોવી પડે. કહેવાય છે કે, આગામી કેટલાક સપ્તાહમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે. જેવી જ વૈજ્ઞાનિકોની મંજૂરી મળી જશે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થઈ જશે.’

પીએમ મોદીએ કહ્યું, ફેબ્રુઆરી માર્ચના આશંકાઓ ભર્યા, ડરભર્યા માહોલથી લઈને આજે ડિસેમ્બરમાં વિશ્વાસ અને આશાના વાતાવરણની વચ્ચે ભારતે ઘણી લાંબી યાત્રા કાપી છે. હવે જ્યારે આપણી રસીના દરવાજે પહોંચી ગયા છીએ ત્યારે જનભાગીદારી, સાઈન્ટિફિક એપ્રોચ અને એ જ સહયોગ આગળ પણ જરૂરી છે.