NIA Raid On PFI: આજે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દેશભરમાં PFI (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા)ના સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વિવિધ રાજ્યોમાંથી કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NIA અધિકારી સંજુક્તા પરાશરે આ દરોડા અંગે વિગતવાર માહિતી આપી હતી.


તેમણે જણાવ્યું કે, આજે 15 રાજ્યોમાં 93 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ 15 રાજ્યો છે - કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મણિપુર.


NIAના એક અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન વિવિધ રાજ્યોમાંથી કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કેરળમાં 39, તમિલનાડુમાં 16, કર્ણાટકમાં 12, આંધ્રપ્રદેશમાં 7, તેલંગાણામાં 1, ઉત્તર પ્રદેશમાં 2, રાજસ્થાનમાં 4, દિલ્હીમાં 2, આસામમાં 1, મધ્યપ્રદેશમાં 1, મહારાષ્ટ્રમાં 4, ગોવામાં 1, પશ્ચિમ બંગાળમાં 1, બિહારમાં 1 અને મણિપુરમાં 1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.


5 કેસમાં ધરપકડ કરવામાં આવી


NIAએ નિઝામાબાદ કેસમાં કુલ 5 લોકોની ધરપકડ કરી છે. આંધ્રપ્રદેશના 4 અને તેલંગાણાના 1 વ્યક્તિ NIAના હાથમાં આવ્યા છે. તે જ સમયે, એક કેસ દિલ્હીનો છે, જેમાં કેરળમાંથી 19, કર્ણાટકમાંથી 7, તમિલનાડુમાંથી 11 અને ઉત્તર પ્રદેશમાંથી 1 અને રાજસ્થાનમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, એટલે કે કુલ 45 લોકોની ધરપકડ કરવમાં આવી છે.


PFI પર દરોડો કેમ પાડવામાં આવ્યો?


એવા આક્ષેપ થતા આવ્યા છે કે, પીએફઆઈ આતંકીઓને ફંડિંગ કરે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોની તપાસ દરમિયાન એનઆઈએને જાણવા મળ્યું હતું કે PFI દ્વારા આતંકવાદ માટે ફંડિંગ, ટ્રેનિંગ કેમ્પ જ્યાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, તેમજ યુવાનોને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ઉશ્કેરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કારણે આ દરોડા પાડવામાં આવ્યા છે. NIAએ પહેલા જ આ કેસ નોંધ્યા હતા અને તપાસ બાદ પુરાવા મળ્યા અને હવે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશનમાં લગભગ 300 NIA અધિકારીઓ સામેલ હતા. આ દરોડાની દેખરેખ NIA ડીજીએ કરી હતી.