મુંબઇઃ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી એનસીબીના અધિકારી સમીન વાનખેડેએ એકવાર ફરી કહ્યું કે તેમના વિરુદ્ધ જે પણ આરોપ લાગ્યા છે એ તમામ પાયાવિહોણા છે. વાનખેડે વિરુદ્ધ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સાક્ષ રહેલા પ્રભાકર સૈલે પૈસા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. તપાસ માટે એનસીબીના જ્ઞાનેશ્વરના નેતૃત્વમાં પાંચ સભ્યોની ટીમ બનાવી છે. એનસીબીના ઉત્તર ક્ષેત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહ મુંબઇ પહોંચ્યા છે. વિજિલન્સ ટીમ સામે આજે વાનખેડે રજૂ થયા હતા.


સૂત્રોના મતે સમીર વાનખેડેએ બાંન્દ્રા સીઆરપીએફ કેમ્પમાં એનસીબીની વિજિલન્સ ટીમે નિવેદન નોંધ્યું હતું. અહી વાનખેડે લગભગ ચાર કલાક રોકાયા હતા. એનસીબીના વિજિલન્સના ચીફ જ્ઞાનેશ્વર સિંહે તેમની પૂછપરછ કરી છે. બાદમાં જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે પ્રભાકર સૈલ અને કેપી ગોસાવીને નોટિસ આપવાનો આગ્રહ કર્યો હતો પરંતુ અમારા પ્રયાસો છતાં નોટિસ આપી શકાઇ નહોતી.


તેમણે કહ્યું કે મીડિયા મારફતે આગ્રહ છે કે કેપી ગોસાવી અને પ્રભાકર સૈલ તપાસમાં સામેલ થાય. સીઆરપીએફ મેસ, બ્રાંન્દ્રામાં આવીને તેઓ પોતાનું નિવેદન નોંધાવી શકે છે. આજે આ ટીમે કેટલાક દસ્તાવેજો એકઠા કર્યા છે. સમીર વાનખેડેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આવનારા સમયમાં જરૂરિયાત અનુસાર તેમના અને સાક્ષીઓના નિવેદન લેવામાં આવશે.


પ્રભાકર સૈલે છેલ્લા દિવસોમાં દાવો કર્યો હતો કે ક્રૂઝ પર કરવામાં આવેલા દરોડામાં આરોપી આર્યન ખાનને છોડવા માટે સમીર વાનખેડે સહિત એજન્સીના કેટલાક અધિકારીઓએ 25 કરોડ રૂપિયા માંગ્યા હતા. આ આરોપ બાદ વિજિલન્સ ટીમ બનાવવામાં આવી અને સૈલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કેપી ગોસાવીની આર્યન ખાન સાથેની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. કેપી ગોસાવી હાલમાં ફરાર છે. સૂત્રોના મતે આ મામલામાં સામેલ તમામ અધિકારીઓ અને સાક્ષીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે