Sharad Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર હાલમાં રાજકીય અને પારિવારિક બંને રીતે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. ભત્રીજા અજિત પવારના રાજકીય બળવા અને નિવૃત્તિ લેવાની સલાહ વચ્ચે શરદ પવારે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પંક્તિઓને ટાંકીને વળતો જવાબ આપ્યો હતો.


શરદ પવારે કહ્યું હતું કે, લાલ કૃષ્ણ અડવાણીને પાર્ટીની કમાન સોંપતી વખતે વાજપેયીજીએ કહ્યું હતું કે - હું ના તો થાક્યો છું કે ના તો નિવૃત્ત થયો છું, પરંતુ હવે અડવાણીજીના નેતૃત્વમાં જીત તરફ આગળ વધી રહ્યો છું. શરદ પવારનો સંદર્ભ અજિત પવારના નિવેદનનો હતો જેમાં તેમણે એનસીપી અધ્યક્ષની ઉંમર અને સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અગાઉ શરદ પવારે કહ્યું હતું કે, તેઓ હજુ પણ સક્રિય છે પછી ભલે તેઓ 82 વર્ષના હોય કે 92 વર્ષના.


શરદ પવારની નિવૃત્તિ અંગે અજિત પવારે શું કહ્યું?


મુંબઈમાં સાથી બળવાખોર નેતાઓ, ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોની બેઠકમાં અજિત પવારે શરદ પવારની ઉંમરને લઈને નિશાન તાકતા કહ્યું હતું કે, તમે મને બધાની સામે ખલનાયક બનાવી દીધો છે. મને હજી પણ તમારા માટે ઘણું સન્માન છે.. તમે જ કહો, IAS અધિકારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે, ભાજપના નેતાઓ 75 વર્ષની વયે નિવૃત્ત થાય છે - લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ઉદાહરણો તમારી સામે છે જ. જેમણે નવી પેઢીને આગળ વધવાની પ્રેરણા આપી છે. અજીત પવારે શરદ પવારને કહ્યુંં હતું કે, તમે હવે નિવૃત્ત થાવ અને પાર્ટીની કમાન અપને સોંપી દો. અમે પાર્ટી ચલાવીશું.  


ઉલ્લેખનીય છે કે, અજિત પવારે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર સાથે હાથ મિલાવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. આ સાથે તેમણે એનસીપી પર પણ પોતાનો દાવો કર્યો હતો. આ સંદર્ભે ગયા બુધવારે બંને જૂથોની અલગ-અલગ બેઠકો યોજવામાં આવી હતી. જેમાં તેઓએ તેમની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.


અજિત પવાર જૂથની બેઠકમાં 35થી વધુ ધારાસભ્યો પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે શરદ પવાર જૂથના 15 ધારાસભ્યોએ ત્યાં તેમની હાજરી નોંધાવી હતી. જો કે, અજિત પવારે આ દરમિયાન દાવો કર્યો હતો કે તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે અને NCP પાસે મહારાષ્ટ્ર વિધાનસભામાં 53 ધારાસભ્યો છે.


https://t.me/abpasmitaofficial