નવી દિલ્હી: રાહુલ ગાંધી કેસમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ ફેસબુક ઈન્ડિયાના વડા સત્ય યાદવને સમન્સ પાઠવ્યું છે. NCPCRએ સત્ય યાદવને 17 ઓગસ્ટના રોજ હાજર થવા કહ્યું છે. એનસીપીસીઆરએ ફેસબુકને નોટિસ મોકલીને રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર બળાત્કાર પીડિતાના સગાની ઓળખ દર્શાવતી પોસ્ટને દૂર કરવા કહ્યું હતું. પરંતુ કમિશનના જણાવ્યા મુજબ ફેસબુકે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી છે કે નહીં તે અંગે કમિશનને કોઈ માહિતી આપી નથી.


રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ લોક થાય તે પહેલા જ હંગામો થયો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ટ્વિટર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. NCPCRની ફરિયાદ બાદ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.


શું છે સમગ્ર મામલો


હકીકતમાં રાહુલ રાષ્ટ્રીય રાજધાનીમાં કથિત રીતે બળાત્કાર, હત્યા કરાયેલી મૃતક સગીર પીડિતાના પરિવારના સભ્યોને મળ્યા હતા. સગીર પર બળાત્કાર, હત્યા કર્યા બાદ તેના માતાપિતાની સંમતિ વિના ઓલ્ડ નંગલ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો કે ગાંધીએ પીડિત પરિવારની ઓળખ જાહેર કરી છે જે ગેરકાયદેસર છે.


બીજી બાજુ, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આ અમેરિકન કંપની પક્ષપાતી છે, તે ભારતની રાજકીય પ્રક્રિયામાં દખલ કરી રહી છે અને સરકારની સૂચના અનુસાર ચાલી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ટ્વિટર દ્વારા જે કરવામાં આવ્યું છે તે ભારતના લોકશાહી માળખા પર હુમલો છે.


રાહુલ ગાંધીએ કહ્યું કે, મારું ટ્વિટર બંધ કરીને તેઓ અમારી રાજકીય પ્રક્રિયાઓમાં દખલ કરી રહ્યા છે. આ દેશના લોકશાહી માળખા પર હુમલો છે, તે રાહુલ ગાંધી પર હુમલો નથી. મારા 19-20 મિલિયન ફોલોઅર્સ છે તમે તેમને નકારી રહ્યા છો.


જ્યારે abp ન્યૂઝે રાહુલના ટ્વિટર એકાઉન્ટને લોક કરવા અંગે ટ્વિટર પર સવાલ ઉઠાવ્યો ત્યારે કંપનીએ કહ્યું કે, જો કોઈ ટ્વીટ અમારા નિયમોનું ઉલ્લંઘન કરતું જોવા મળે અને ખાતાધારક દ્વારા તેને દૂર કરવામાં ન આવે તો આવી સ્થિતિમાં અમે તેને નોટિસ મોકલીશું. જ્યાં સુધી ટ્વિટ દૂર ન થાય ત્યાં સુધી એકાઉન્ટ લોક રહે છે.