NDA On Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ મંગળવારે (18 જુલાઈ) કહ્યું હતું કે તે 2024ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડશે. એનડીએએ કહ્યું કે તે પ્રચંડ બહુમતી સાથે સતત ત્રીજી વખત સત્તામાં આવશે.






શાસક ગઠબંધનનો સામનો કરવા માટે બેંગલુરુમાં 26 વિપક્ષી દળોએ તેમનું સંમેલન યોજ્યું ત્યારે ભાજપે તે જ દિવસે તેના સાથી પક્ષો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. એનડીએના ઘટક પક્ષોએ દેશના વિકાસની પ્રશંસા કરી અને બેઠકમાં ઠરાવ પસાર કરીને મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.


વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પૂર્ણ વિશ્વાસઃ NDA


શાસક ગઠબંધન દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે  અહીં યોજાયેલી એનડીએની બેઠકમાં 39 પક્ષોએ ભાગ લીધો હતો અને દાવો કર્યો હતો કે વિપક્ષ ઓળખ અને પ્રાસંગિકતાના સંકટનો સામનો કરી રહ્યું છે. ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, 'આજે વિપક્ષ મૂંઝવણમાં છે અને દિશાહિન છે.' કરોડો ભારતીયોને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે મોદીમાં અતૂટ વિશ્વાસ છે. મોદીના નેતૃત્વમાં 2014ની લોકસભા ચૂંટણીમાં લોકો તરફથી મળેલા આશીર્વાદ 2019ની ચૂંટણીમાં અનેક ગણા વધી ગયા.


ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધને કહ્યું હતું કે , "દેશ NDA ગઠબંધનના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે, વિપક્ષી પાર્ટીઓના જૂઠાણા, અફવાઓ અને પાયાવિહોણા આરોપોને ફગાવી રહ્યો છે." "એનડીએમાં સામેલ તમામ પક્ષોને 2019માં જેટલો મોટો જનાદેશ મળ્યો હતો તેના કરતા 2024માં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે." બેઠકમાં શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ઠરાવ રજૂ કર્યો. જ્યારે એઆઈએડીએમકે અને એજીપીએ તેનું સમર્થન કર્યું હતું.


એનડીએના તમામ પક્ષોએ લીધો સંકલ્પ


ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, "એનડીએના તમામ ઘટક પક્ષોએ સંકલ્પ કર્યો કે તેઓ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક થઈને લોકસભાની ચૂંટણી લડશે અને તેઓ જંગી બહુમતી સાથે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે." ઠરાવ મુજબ, છેલ્લા નવ વર્ષમાં NDA સરકારે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના વિઝનને સાચા અર્થમાં સાકાર કર્યું છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે સુશાસન અને વિકાસની આ યાત્રામાં તમામ વર્ગો, પ્રદેશો અને સમુદાયોની ભાગીદારી હતી.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial