Supreme Court On Freebies: ચૂંટણી દરમિયાન મફતની યોજનાઓની જાહેરાતો અને તેના અમલના કારણે અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાન પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે આ સમસ્યાના ઉકેલ માટે એક નિષ્ણાંતોની કમિટી બનાવવા પર ભાર મુક્યો હતો. કોર્ટે કહ્યું કે આ કમિટીમાં ફાઇનાન્સ કમિશન, નીતિ આયોગ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, લૉ કમિશન, રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પક્ષોના પ્રતિનિધિ હોવા જોઇએ. મામલાની આગામી સુનાવણી ગુરુવારે 11 ઓગસ્ટના રોજ થશે.






 સુપ્રીમ કોર્ટ સૂચનો માંગ્યા


 ચીફ જસ્ટિસ એનવી રમના ની આગેવાની હેઠળની 3 જજોની બેંચે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, અરજદાર અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પાસે 7 દિવસમાં સૂચનો માંગ્યા છે. જે વાંચ્યા બાદ કોર્ટ નક્કી કરશે  કે નિષ્ણાત સમિતિમાં કોણ હશે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ કહ્યું કે જો ચૂંટણી પંચે અત્યાર સુધીમાં આ મુદ્દે પગલાં લીધાં હોત તો કદાચ આવી સ્થિતિ ન સર્જાઈ હોત. આજે કદાચ કોઈ પણ પક્ષ મફત યોજનાઓ છોડવા માંગતો નથી.


 પિટિશન શું છે? 


ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે મફત વસ્તુઓનું વિતરણ કરવાનું વચન આપનાર પાર્ટીઓની માન્યતા રદ કરવાની માંગ કરી છે. તેમની અરજીમાં કહેવામાં  છે કે આવી જાહેરાતો એક રીતે મતદારને લાંચ આપવા જેવી છે. આ માત્ર ઉમેદવારોને ચૂંટણીમાં અસમાન સ્થિતિમાં મૂકે છે પરંતુ ચૂંટણી પછી સરકારી તિજોરી પર બિનજરૂરી બોજ પણ નાખે છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે 25 જાન્યુઆરીએ નોટિસ જાહેર કરી હતી.


 કેન્દ્રએ કર્યું સમર્થન


 કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અરજીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે બેજવાબદારીભરી જાહેરાત કરનારા પક્ષો સામે કાર્યવાહીનો મામલો ચૂંટણી પંચ પર છોડવો જોઈએ. મહેતાએ એમ પણ કહ્યું હતું કે જો ‘મફત’ પર અંકુશ નહીં આવે તો દેશની અર્થવ્યવસ્થા નાશ પામશે.


 અરજદારની દલીલ


 અરજીકર્તાના વકીલ વિકાસ સિંહે કહ્યું, "રાજ્યો પર લાખો કરોડનું દેવું છે. તેઓ તેને ચૂકવવાની સ્થિતિમાં નથી. પ્રશ્ન એ છે કે દેવાથી ડૂબેલા રાજ્ય મફત યોજના કેવી રીતે પૂર્ણ કરશે? જેના પર કોઇ સવાલ કરતું નથી. રાજકીય પક્ષોની કોઈ જવાબદારી નિશ્ચિત નથી તેઓ કંઈપણ જાહેર કરે છે.


 સિબ્બલની સલાહ


 આ કેસની છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલનો અભિપ્રાય પૂછ્યો હતો. ન્યાયાધીશોએ કહ્યું હતું કે સિબ્બલ એક વરિષ્ઠ સાંસદ પણ છે. તેથી તેમનો અભિપ્રાય મહત્વપૂર્ણ હોઈ શકે છે. ત્યારે સિબ્બલે કહ્યું હતું કે આ રાજકીય કરતાં વધુ નાણાકીય મુદ્દો છે. આના પર નાણાપંચને પૂછવું જોઈએ કે દેવાથી ડૂબેલા રાજ્યોને મફત યોજનાઓ જાહેર કરવાથી કેવી રીતે રોકી શકાય?. આજે સિબ્બલે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવાની પણ સલાહ આપી હતી. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે શું તમને લાગે છે કે સંસદમાં ચર્ચા થશે? આજે દરેક વ્યક્તિ મફતમાં કંઈક મેળવવા માંગે છે."


 ગરીબોને મદદ કરવી જોઈએઃ CJI 


જસ્ટિસ કૃષ્ણ મુરારી અને હિમા કોહલી સાથે કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટિસે કહ્યું, "ફક્ત અમીરોને જ સુવિધા ન મળવી જોઈએ. જો તે ગરીબોના કલ્યાણની વાત હોય તો તે સમજી શકાય છે. પરંતુ તેની પણ એક સીમા હોય છે. આ પછી ચીફ જસ્ટિસે સુનાવણી 11 ઓગસ્ટ પર મુલતવી રાખી અને કહ્યું કે એક સમિતિની રચના કરવામાં આવે અને ઉકેલ શોધી કાઢવામાં આવશે.