28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દિવસે રાજધાની ક્ષેત્રની સુરક્ષાને લઈને દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ રહી છે.


ઘણા રાજકીય પક્ષોએ આ સમારોહમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કુસ્તીબાજોએ નવા બિલ્ડિંગની સામે તે જ દિવસે પંચાયત યોજવાની વાત કરી છે. આ કારણે નવી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. આ બેઠક મલ્ટી લેયર સિક્યોરિટીની તૈયારીઓને લઈને ચાલી રહી છે.


નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કેમ કરી રહ્યો છે વિપક્ષ?


19 વિપક્ષી દળો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે જો પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે તો તેઓ સમારોહમાં સામેલ થશે નહીં. કોંગ્રેસ પાર્ટી આ અંગે સતત સરકારનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, "એક વ્યક્તિના ઘમંડ અને સ્વ-પ્રમોશનના કારણે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને આ ઇમારતનું ઉદ્ઘાટન કરવાનો બંધારણીય વિશેષાધિકાર નકારવામાં આવ્યો છે."


કોંગ્રેસ, ડાબેરી પક્ષો, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત કુલ 19 વિપક્ષી દળોએ સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસને આશંકા છે કે આ દિવસે સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમયે વિરોધ પક્ષો સંસદના ઉદ્ઘાટનનો વિરોધ કરી શકે છે.


NDAએ શું કહ્યું?


વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કર્યા પછી ભાજપની નેતૃત્વ હેઠળના NDAએ વિપક્ષની ટીકા કરી અને તેને ભારતના લોકતાંત્રિક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોનું અપમાન ગણાવ્યું. NDA અનુસાર, વિપક્ષી પાર્ટીઓનું આ કૃત્ય માત્ર અપમાનજનક નથી પરંતુ મહાન રાષ્ટ્રની લોકતાંત્રિક નીતિ અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે.


Parliament Building Inauguration: નવા સંસદના ઉદ્ધાટન સમારોહનો વિપક્ષ કરશે બહિષ્કાર, સરકારને મળ્યો પટનાયક, રેડ્ડી અને બાદલનો સાથ


New Parliament Inauguration:  સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો મચી ગયો છે. 19 વિપક્ષી પાર્ટીઓએ સામૂહિક રીતે સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સરકારે વિપક્ષના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. દરમિયાન બીજુ જનતા દળ (બીજેડી) અને શિરોમણી અકાલી દળ (એસએડી) સહિત કેટલાક અન્ય પક્ષોએ સમારોહમાં હાજરી આપવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજકારણ નહીં કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (28 મે) ના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ માટે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિપક્ષની માંગ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઈમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ. બુધવારે વિપક્ષના 19 પક્ષોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને સમારોહના બહિષ્કારની જાહેરાત કરી હતી. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર હેઠળ સંસદમાંથી લોકશાહીની ભાવના દૂર કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિને સમારોહથી દૂર રાખવાનું અભદ્ર કૃત્ય સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન અને લોકશાહી પર સીધો હુમલો છે