નવી દિલ્હીઃ દિલ્હીની નિર્ભયાને અંતે સાડા વર્ષ બાદ ન્યાય મળ્યો. 20 માર્ચની સવારે સાડા પાંચ વાગ્યે તમામ ચાર દોષિતોને ફાંસી આપવામાં આવી. આ દરમિયાન જેલની અંદર લોકડાઉન રહ્યું. પરંતુ તિહાડ જેલ બહાર આ દરમિયાન ખૂબ ભીડ રહી હતી. જેલની બહાર એકઠા થયેલા લોકોએ તેને મોટી જીત ગણાવી હતી.


નિર્ભયાના માતાપિતાએ 20 માર્ચના દિવસને નિર્ભયા દિવસ તરીકે મનાવવાની વાત કરી. જોકે, આ અગાઉ દોષિતોના વકીલ એપી સિંહે આખરી સમય સુધી દોષિતોને ફાંસીથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટે તેમની તમામ દલીલો ફગાવી દીધી હતી અને બાદમાં ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવી.



નિર્ભયાના ચારેય દોષિતોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ચારેયના મૃતદેહને હોસ્પિટલ લઇ જવા બે એમ્બુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો જ્યાં પાંચ ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ પુરી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતુ. પોસ્ટમોર્ટમ બાદ દોષિતોના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવાયા હતા.