નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ્રર એટલે કે એનપીઆર તૈયાર અને અપડેટ કરી દેવામાં આવશે. આસમને છોડીને આખા દેશમાં ઘરોની ગણતરી કરી તેની યાદી તૈયાર કરવામાં આવશે.


તેમણે એનપીઆર તૈયાર કરવા દરમિયાન આધાર નંબરની જાણકારી પૂછવાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યુ કે, આ  લોકોની ઇચ્છા પર નિર્ભર કરશે. આ અગાઉ સંસદ સત્રના ચોથા દિવસે લોકસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સરકારે એનઆરસીને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. ભાજપના જ સાંસદ આરકે સિન્હાએ નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએને લઇને ભારત વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા પ્રોપગ્રેન્ડા પર રાજ્યસભામાં શૂન્ય કાળમાં ચર્ચા માટે નોટિસ આપી હતી. એનપીઆર અને સીએએના મુદ્દા નિયમ 267 હેઠળ ઉઠાવવા પર અડગ વિપક્ષી સભ્યોના હંગામાના કારણે રાજ્યસભામાં સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ શકી નહોતી.