કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલા બાદ કાશ્મીર પહોંચેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે અહીં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક બાદ શ્રીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં ગૃહમંત્રીએ કહ્યું કે, પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે અને સુરક્ષા દળોને જરૂરી નિર્દેશ આપ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, સુરક્ષા દળોની મુવમેન્ટ દરમિયાન હાઇવે પર ટ્રાફિક પ્રતિબંધિત કરવામાં આવશે.


તે સિવાય રાજનાથ સિંહે કહ્યું કે, સરકાર સરહદ પારથી જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવનારા લોકોને ક્યારેય સફળ થવા દઇશું નહીં. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કેટલાક એવા તત્વો છે જે સરહદ પારથી આતંક ફેલાવનારા લોકો અને આઇએસઆઇ સાથે જોડાણ ધરાવે છે. એવા લોકો જે પાકિસ્તાન અને આઇએસઆઇ પાસેથી રૂપિયા લે છે તેમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.

રાજનાથ સિંહે કહ્યું કે, પુલવામામાં હુમલા બાદ થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે પણ સુરક્ષા દળોના કાફલાની મુવમેન્ટ હાઇવે પર હશે તે સમયે સામાન્ય લોકોના વાહનોના અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવશે. તે સિવાય સામાન્ય લોકો વચ્ચે શાંતિનો માહોલ બગાડનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. તે સિવાય ગૃહમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે આવી સ્થિતિમાં કેટલાક લોકો દેશમાં સાંપ્રદાયિક માહોલ બગાડવાનો પ્રયાસ કરી શકે છે એવામાં દેશની જનતાને અપીલ કરું છું કે સૌ સાથે આવે. હુ જાણું છું કે જ્યારે આવી કોઇ સમસ્યા આવે છે તો દેશમાં લોકો ધર્મ, જાતિ અને સંપ્રદાયની ભાવનાને છોડીને આતંક વિરુદ્ધ એક થઇ જાય છે અને આજે તો આખી દુનિયાના લોકોએ ભારતની આ લડાઇમાં સાથે હોવાની વાત કહી છે.