નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકરને લઇને આવેલા નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી ઇતિહાસ બદલાશે નહી અને તેમને સાવરકર વિશે વાંચવું જોઇએ. રાહુલ ઇતિહાસના પેજ ફાડી શકશે નહીં. કોગ્રેસ સાથે આ મુદ્દા પર વધતા ગતિરોધ વચ્ચે શિવસેનાએ કહ્યું કે, સાવરકર પર શિવસેના પોતાના જૂના મત પર અડગ છે. રાઉતે કહ્યું કે, સાવરકર વિવાદથી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર કોઇ ખતરો નથી. એક ચેનલ સાથેની વાતચીતમાં રાઉતે કહ્યુ કે, રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં આવેલા નિવેદનથી ઇતિહાસ બદલાશે નહીં અને સાવરકર વિશે તેમણે વાંચવું જોઇએ.સાવરકરે દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે. રાહુલ ગાંધીના નિવેદનથી સાવરકરનું મહત્વ ઓછું નહી થાય. મનમોહન સિંહે કહ્યું હતું કે, મતભેદ હોઇ શકે છે પરંતુ ઇતિહાસમાં સાવરકરનું યોગદાન છે અને રહેશે.


રાઉતે કહ્યું કે, સાવરકર ફક્ત મહારાષ્ટ્ર માટે નહી દેશના યુવાઓ માટે આદર્શ છે. રાજ્યની સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. આખા મામલાથી મહારાષ્ટ્ર સરકાર પર કોઇ ખતરો નથી. ઉદ્ધવ સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે. હું મહારાષ્ટ્રના કોગ્રેસ નેતાઓને અપીલ કરું છું કે તેઓ સાવરકરની આત્મકથા રાહુલ ગાંધીને આપે. રાહુલ ગાંધીએ તે વાંચવી જોઇએ.