લખનઉ : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં કોરાના વાયરસનું સંક્રમણ ફરી વધવાને કારણે જુદા જુદા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, રાજ્યમાં લગ્ન સમારોહ માટે પોલીસ અથવા તંત્રની પરવાનગી લેવાની જરૂર નથી. માત્ર જાણકારી આપીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને લગ્ન કરી શકાશે. રાજ્યમાં COVID-19 દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના સંક્રમણ વચ્ચે એ વાત સ્પષ્ટ કરી હતી કે લગ્ન સમારોહ માટે પોલીસ કે તંત્રની મંજૂરી લેવાની કોઇ જરૂરિયાત નથી. ઉપરાંત યોગીએ એ વાતની પણ સ્પષ્ટતા કરી કે લગ્ન સમારંભમાં પોલીસ તરફથી દુર્વ્યવહારની જો કોઇ ફરિયાદ આવી તો પોલીસ સામે કડક પગલાં લેવામાં આવશે.

યોગી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જેમને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેમણે માત્ર પોલીસને પ્રસંગની માહિતી આપવાની અને કોવિડના પ્રોટોકોલનું પાલન કરવાનું છે. યોગીએ એ પણ સૂચના આપી છે કે લગ્ન સમારંભ માટે જે સંખ્યા નક્કી કરવામાં આવી છે, તેમાં બેંડ વાજાવાળા, ડીજે કે અન્ય કર્મચારીઓની સંખ્યા ગણતરીમાં લેવાશે નહીં.

યોગીએ પોલીસ અધિકારીઓને કડક આદેશ આપ્યા છે અને કહ્યું છે કે કોરોનાની ગાઇડ લાઇનના નામ પર કોઇ પણ પ્રકારનું ઉત્પીડન ચલાવી લેવામાં આવશે નહી. મતલબ કે લગ્ન પ્રસંગમાં પોલીસ લોકોને ખોટી રીતે હેરાન ન કરે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે લોકોને ગાઇડલાઇનનું પાલન કરવા જાગૃત કરો, તેમને પ્રોત્સાહિત કરો.