લખનઉ: ઉત્તરપ્રદેશમાં લોકડાઉન ફરી લગાવવામાં આવશે. લોકડાઉન કાલે રાત્રે 10 વાગ્યાથી 13 જૂલાઈ સવારના પાંચ વાગ્યા સુધી લાગી રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓમાં કોઈ મુશ્કેલી નહી આવે. કોરોના વાયરસના વધતા કેસને જોતા લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.


આપને જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે, ટ્રેનો દોડાવવામાં આવશે, પરંતુ બસ સેવાઓ બંધ રહેશે. જ્યારે માલનું પરિવહન પણ કોરોનાના કારણે ચાલુ રહેશે, રાજ્યમાં 845 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

યુપીમાં વધતા કોરોના વાયરસના કેસ પર નિયંત્રણ લગાવવા માટે મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારીએ લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન તમામ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં બજાર, હાટ, ગલ્લાઓ,મંડીઓ અને કાર્યાલયો બંધ રહેશે. જો કે, આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના 32 હજારથી વધારે કેસ છે. સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે આજે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 17 લોકોના મોત થયા છે. આ સાથે જ આ મહામારીના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 862 પર પહોંચી છે.