નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હવે નાઇટ કલ્ચર શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે 24 કલાક રેસ્ટોરન્ટ ખૂલ્લી રાખવાની મંજૂરી આપી દીધી. તેમણે બુધવારે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી. દિલ્હી સચિવાલયમાં આયોજીત બેઠકમાં રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા અનેક ફેંસલા લેવામાં આવ્યા હતા.


તેમણે કહ્યું, રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ દિલ્હીની શાન છે. દિલ્હીમાં લાખો લોકોની રોજગારી આની સાથે સંકળાયેલી છે. ઈન્ડસ્ટ્રીને પડતી અડચણો દૂર કરવામાં આવશે. રેસ્ટોરન્ટમાં લાયસન્સ પ્રાપ્ત પરિસરમાં શરાબ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત તમામ પ્રકારના મ્યૂઝિક જેમાં ડીજે, લાઇવ બેંડનો સમાવેશ થાય છે તેન પણ મંજૂરી અપાઈ છે.

દિલ્હી સરકારે ફાયર સેફ્ટી માટે ટેકનિકલ કમિટીનું ગઠન કર્યુ છે. આ કમિટી દસ દિવસની અંદર જૂની બિલ્ડિંગોમાં રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી કઈ રીતે આપવી તેની ભલામણ કરશે. બેઠકમાં જણાવવામાં આવ્યું કે, જો ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરાવવામાં આવે તો 90 ટકા રેસ્ટોરન્ટ બંધ થઈ જશે.