નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. અત્યાર સુધી અનેક રાજનેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને ઘણા મોતને પણ ભેટ્યા છે. કોરોનાથી સંક્રમિત થનારા રાજનેતામાં વધુ એક નામ ઉમેરાયું છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.


જોશીએ ટ્વિટ કરીને કહ્યું, ડોક્ટરોની સલાહ પ્રમાણે હું હોમ ક્વોરન્ટાઈન થયો છું. જોકે મારામાં કોઈ પ્રકારના લક્ષણ નથી. કેન્દ્રીય મંત્રીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અને ક્વોરન્ટાઈન થવાની સલાહ આપવામાં આવી છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા  પ્રહલાદ જોશી કર્ણાટકના બીજા કેન્દ્રીય મંત્રી છે.  આ પહેલા રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રહલાદ જોશી કર્ણાટકના ધારવાડથી સાંસદ છે. કેન્દ્રમાં કોલસા અને ખાણ વિભાગનો કાર્યભાર સંભાળે છે.



જોશીએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ લોકોને કોરોના પ્રત્યે બેદકારી ન દાખવવાની અપીલ કરી હતી. આ પહેલા કેરળના ઉર્જા મંત્રી એમએમ મણિનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમણે ફેસબુક પર આ જાણકારી આપી હતી. રિપોર્ટ આવ્યા બાદ તેમને તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.