નવી દિલ્હીઃ તાજેતરની વેબ સીરિઝમાં સેના અને સૈનિકોની ઈમેજને તોડી મરોડીને દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને લઈ નારાજ રક્ષા મંત્રાલયે સેંસર બોર્ડ અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયને પત્ર લખીને વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ રક્ષા મંત્રાલયે હવે સ્પષ્ટ કરી દીધું છે કે, જે પણ નિર્માતા-નિર્દેશક સેના આધારિત ફિલ્મ, વેબ-સીરિઝ કે ડોક્યુમેન્ટ્રી બનાવશે કે સૈનિકો સાથે જોડાયેલા પાત્ર બતાવશે તેમણે પહેલા રક્ષા મંત્રાલયની મંજૂરી લેવી પડશે.


જાણકારી મુજબ, રક્ષા મંત્રાલયના અંડર સેક્રેટરી સુદર્શન કુમારે મુંબઈ સ્થિત સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)ના રિજનલ ઓફિસરને પત્ર લખીને કહ્યું છે કે, કોઈપણ ફિલ્મ કે વેબ સીરિઝને દર્શકો સમક્ષ રજૂ કરતા પહેલા રક્ષા મંત્રાલય પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવું પડશે. આ પત્રની કોપી એબીપી ન્યૂઝ પાસે પણ છે.

રક્ષા મંત્રાલયે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, સીબીએફસી એટલે કે ફિલ્મો કે વેબ સીરિઝમાં ડિફેંન્સ ફોર્સેઝની ઇમેજ ખરાબ ન થાય અને તેમની લાગણીને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન સેંસર બોર્ડે રાખવું પડશે.

પહેલા ઘણી ફિલ્મોમાં સૈનિકની વર્દી પર ખોટો બેઝ કે સ્ટાર જોવા મળતા હતા પરંતુ સેના આ પ્રકારની ભૂલને ધ્યાનમાં નહોતી લેતી. પરંત તાજેતરની વેબ સીરિઝમાં પ્રસારિત કન્ટેન્ટે તમામ મર્યાદા વટાવી દીધી હતી અને સેના સહિત સૈનિકોની વર્દીને લઈ ખૂબ જ અપમાનજક સીન દર્શકો સમક્ષ રજૂ કર્યા હતા.