મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એબીપી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું મુંબઈ પોલીસની ક્ષમતા, યોગ્યતા અને ઈરાદાઓ પર સવાલ ઉઠાવનારાઓની નિંદા કરુ છું. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રથમ વખત સુશાંત સિંહ રાજપૂત મામલે વાત કરતા કહ્યું કે મુંબઈ પોલીસ આ કેસને ઉકેલવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. જો કોઈની પાસે કોઈ પૂરાવા અથવા તો જાણકારી હોય તો તેમણે મુંબઈ પોલીસ સાથે શેર કરવી જોઈએ. મુંબઈ પોલીસ આ મામલામાં જે કોઈપણ દોષી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સુશાંતની મોત પર રાજકારણ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 'અમે સુશાંતના પરિવારવાળા, ફેન્સની ભાવનાઓને સમજીએ છીએ. પરંતુ હું એ બધાને વિનંતિ કરુ છુ કે તેઓ ભાવનાઓને વ્યક્ત જરૂર કરે પરંતુ અજાણતા આ મુદ્દા પર રાજકારણ કરનારાઓનો હિસ્સો ન બને.'

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ પર પણ સુશાંતની મોત પર રાજકારણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે ફડણવીસ દ્વારા પોલીસની ક્ષમતા પર અવિસ્વાસ દેખાડવાનો આરોપ લગાવતા કહ્યું કે 'આજ દેવેંદ્ર જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે આજ મુંબઈ પોલીસના આધાર પર તેઓ સીએમ રહી શક્યા. તેમની પાસે આ અપેક્ષા નહોતી.'

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સુશાંત કેસ પર કહ્યું, 'જે કોઈપણ દોષી હશે, તેમને ફાંસી પર લટકાવ્યા વગર અમે ચૂપ નહી બેસીએ. પરંતુ આરોપો માત્ર રાજકારણ કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે તે ખોટું છે. તેમણે કહ્યું આજ પોલીસ કોરોનાના આ સંકટકાળમાં આપણી રક્ષા કરી રહી છે. ઘણા પોલીસકર્મીઓએ જનતાની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો છે અને તમે આ પોલીસવાળાઓ પર શક કરી રહ્યા છે. આવું કરનારાઓને શરમ આવવી જોઈએ.'