ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી છે. ભારતમાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન લોકોને અનેક પ્રકારની મુશ્કેલી પડતી હોવાનું બીજી લહેર દરમિયાન ઘણી જગ્યાએ જોવા મળ્યું હતું. હાલ લોકો પાસે રેપિડ એન્ટીજન તથા આરટીપીસીઆર ટેસ્ટના સસ્તા-મોંઘા વિકલ્પ લોકો પાસે છે. આ દરમિયાન લોકો પાસે કોરોના ટેસ્ટનો એક નવો વિકલ્પ આવ્યો છે.


એક અગ્રણી હિન્દી ન્યૂઝ વેબસાઇટના અહેવાલ પ્રમાણે માર્કેટમાં બાયોસેન્સરવાળું માસ્ક થોડા દિવસોમાં આવશે. જેનાથી કોરોના છે કે નહીં તેની ખબર પડી જશે. આ માસ્ક પહેર્યા બાદ શ્વાસ  લેવાથી યૂઝર કોરોના સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે. આ નવી ટેકનોલોજી આગામી સમયમાં ઘણી લાભદાયી થઈ શકે છે.


માસેચૂસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને હાવર્ડ યુનિવર્સિટી ફોર બાયોલોજિકલી ઈન્સપાયર્ડ એન્જિનિયરિંગની રિસર્ચર્સ ટીમે વિયરેબલ મટીરિયલ્સ વીથ એમ્બેડ સિન્થેટિક બાયોલોજી સેન્સર ફોર બાયોમોલેક્યૂર ડિટેક્શન નામથી પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેરી શકાય તેવા મટીરિયલથી પણ કોરોના વાયરસની ભાળ મેળવી શકાય છે. જે બાદ તેમણે બાયોસેંસર માસ્ક બનાવ્યું છે.


આ માસ્ક સામાન્ય એન95 માસ્કની જેવું જ હોય છે. જેમાં વિયરેબલ બાયોસેંસર્સ આપવામાં આવે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ માસ્કપહેર્યાના 90 મિનિટની અંદર વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં તેની ખબર પડી જાય છે. માસ્ક પહેરતાં જ બાયોસેંસર એક્ટિવ થઈ જાય છે. આ માસ્કનું એક્યુરસી લેવલ પણ સ્ટાન્ડર્ડ પીસીઆર ટેસ્ટ જેટલું જ હોવાનો દાવો પણ કરાયો છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં સતત 11મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં  સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,892 કેસ નોંધાયા છે. જેની સામે આજે ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ઘટી હતી. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 817 લોકોના મોત થયા હતા. બુધવારે દેશમાં  43,733 નવા કેસ નોંધાયા હતા અને 47,240 લોકો સાજા થયા હતા.  દેશમાં કુલ રિકવરી રેટ 97 ટકાને પાર થઈ ગયો છે.