નવી દિલ્હીઃ જૈશ આતંકવાદી હિદાયતુલ્લાએ પાકિસ્તાનના ષડયંત્રનો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર હુમલા માટે પાકિસ્તાન કેવી રીતે નજર રાખી રહ્યું છે તેનો આતંકવાદીએ ખુલાસો કર્યો છે. પાકિસ્તાને ડોભાલની ઓફિસની રેકી પણ કરી હતી. આતંકવાદી હિદાયતુલ્લાહએ આ રેકીના અનેક મહત્વપૂર્ણ વીડિયો પાકિસ્તાનના મોકલ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા દિવસો પહેલા હિદાયતુલ્લાહની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે આ વાતનો ખુલાસો કર્યો છે.


સર્જિકલ સ્ટ્રાઈકથી અજિત ડોભાલ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોના નિશાન પર છે. પરંતુ હવે એવું બહાર આવ્યું છે કે ડોભાલને નિશાન બનાવવાના હેતુથી તેની પર જૈશ આતંકી હિદાતુલ્લાહ દ્વારા  રેકી કરવામાં આવી હતી. આ ઘટસ્ફોટ બાદ અજિત ડોવાલના ઘર અને ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગુપ્તચર એજન્સી મુજબ, પાકિસ્તાનના આતંકવાદી સંગઠને કાશ્મીર ઘાટીમાં આતંક ફેલાવવાની ફિરાકમાં હતા. ગુપ્તચર એજન્સીએ ગૃહ મંત્રાલયને જણાવ્યું કે, કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી લશ્કર, જૈશ. હિઝબુલ મુજાહિદ્દીન ફંડ ભેગુ કરવામાં લાગ્યા છે. પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ દ્વારા દુબઈ, તુર્કીના રસ્તે તેમને ફંડ આપવામાં આવી રહ્યું છે.