Old Pension Scheme updates: જો તમે પણ સરકારી નોકરી કરતા હોવ અને જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા હોવ, તો તમારા માટે એક નિરાશાજનક સમાચાર છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હાલમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો કોઈ જ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ નથી. આ જાહેરાત સાથે જ લાખો સરકારી કર્મચારીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

Continues below advertisement

નાણાકીય બોજાનું કારણ આપીને સરકારે ફેરવ્યું મોઢું

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એકદમ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લાંબા ગાળે જૂની પેન્શન યોજનાનો મોટો નાણાકીય બોજ ઉઠાવવો સરકાર માટે અત્યંત મુશ્કેલ છે. સરકારનું માનવું છે કે જો OPS ફરીથી લાગુ કરવામાં આવે તો ભવિષ્યમાં સરકારી તિજોરી પર સતત અને ખૂબ જ મોટો નાણાકીય બોજ પડી શકે છે. આ જ કારણસર કેન્દ્રીય સ્તરે તેને ફરીથી શરૂ કરવાની કોઈ જ યોજના નથી.

Continues below advertisement

રાજ્યોમાં OPS અને NPS ફંડ પરત માંગવાનો મુદ્દો

કેન્દ્ર સરકારે એ પણ ચોખવટ કરી દીધી છે કે રાજ્યોમાં OPS લાગુ કરવી કે નહીં તે સંપૂર્ણપણે સંબંધિત રાજ્ય સરકારોનો નીતિગત નિર્ણય છે. તાજેતરમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવી રાજ્ય સરકારોએ કેન્દ્ર અને પેન્શન ફંડ રેગ્યુલેટર (PFRDA) ને જાણ કરી હતી કે તેઓ OPS માં પરત ફરી રહ્યા છે અને તેથી તેમના NPS ફંડના નાણાં તેમને પાછા આપવામાં આવે.

પરંતુ, NPS માંથી આ ફંડ પાછું મેળવવું એટલું સરળ નથી. સરકારે ગૃહમાં જણાવ્યું કે વર્તમાન કાયદા અને નિયમો મુજબ, NPS માં જમા થયેલા કર્મચારી અને સરકારના યોગદાન તેમજ તેના પર થયેલી કમાણીને પાછી ખેંચીને રાજ્ય સરકારોને પરત કરવાની કોઈ જ જોગવાઈ નથી. આનો સીધો અર્થ એ છે કે, NPS માંથી જૂની પેન્શન યોજનામાં જવાનો નિર્ણય માત્ર રાજકીય નથી, તેમાં ઘણા કાનૂની અને નાણાકીય પડકારો પણ રહેલા છે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓની આ મોટી માંગણીઓ સ્વીકારવાના મૂડમાં નથી સરકાર, જાણો કેમ

હવે મળશે UPS નો વિકલ્પ, જાણો શું છે ફાયદો

જૂની પેન્શન યોજના ભલે પાછી ન આવે, પરંતુ કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક નવો વિકલ્પ આપ્યો છે. 1 એપ્રિલ, 2025 થી કેન્દ્રીય કર્મચારીઓ માટે NPS ના વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાગુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ નિવૃત્તિ પછી કર્મચારીઓને વધુ સુનિશ્ચિત પેન્શનની ગેરંટી આપવાનો છે. UPS ના નિયમો હેઠળ, પાત્રતા ધરાવતા કર્મચારીઓને નિવૃત્તિ બાદ દર મહિને ઓછામાં ઓછા ₹10,000 ના ગેરંટીડ પેન્શનની ચુકવણી કરવામાં આવશે. આ સ્કીમ કર્મચારી અને સરકાર બંને તરફથી થતા નિયમિત યોગદાન અને રોકાણ પર આધારિત રહેશે.

NPS માં જમા છે અધધ.. ₹3.65 લાખ કરોડનું ફંડ!

સરકારે આપેલા આંકડા મુજબ, 7 જુલાઈ સુધીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે NPS હેઠળ સંચાલિત કુલ સંપત્તિ (AUM) ₹3.65 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. સરકારનો સ્પષ્ટ મત છે કે પેન્શન સિસ્ટમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતી વખતે દેશની નાણાકીય સ્થિરતાને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. આ દરમિયાન, દેશના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ પણ પોતાના એક રિપોર્ટમાં ચેતવણી આપી છે કે જે રાજ્યો OPS માં પાછા ફરી રહ્યા છે, તેમને ભવિષ્યમાં ગંભીર નાણાકીય પરિણામો ભોગવવા પડી શકે છે.