શુક્રવારે (24 જુલાઈ) તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી.
સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ તેમની મુલાકાતે આવ્યા હતા. તે પહેલાં વિવિધ પક્ષોના લગભગ 65 સાંસદોએ લેખિતમાં સહી કરીને તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી હતી. આ સાંસદોએ ખાતરી આપી હતી કે તેઓ NEET પેપર લીક કેસ, શિક્ષણ વ્યવસ્થામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓને સંસદમાં ઉઠાવશે અને તેના પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવશે.
વાંગચુકે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના મંત્રીઓએ તેમને ખાતરી આપી છે કે 20 માર્ચે યોજાયેલા 'સંસદ ચાલો' માર્ચ દરમિયાન શાંતિપૂર્ણ રીતે વિરોધ કરનારા લોકો સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે સરકારે NEET પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારા જેવા મુદ્દાઓને ગંભીરતાથી લીધા છે. ઉપરાંત, NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે, તેમજ શાંતિપૂર્ણ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ ગુનો નોંધવામાં આવશે નહીં, તેવી પણ ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ
સફદરજંગથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડાયા
અનશન દરમિયાન સોનમ વાંગચુકને પ્રથમ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ગીતાંજલી આંગ્મોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને તેમને વધુ સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી હતી.
સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તેમની આરોગ્યની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાત ડૉક્ટરોની સતત દેખરેખ જરૂરી છે.
