One Nation-One Election: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિએ આજે ​​લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ સહિત વિવિધ સંસ્થાઓની એકસાથે ચૂંટણી કરાવવાના મુદ્દે 'વન નેશન, વન ઈલેક્શન' પર પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આ રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવ્યો છે.






આ રિપોર્ટમાં કુલ 18,626 પેજ છે. આ રિપોર્ટ 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ તેની રચના અને 191 દિવસના રિસર્ચ અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી સબમિટ કરવામાં આવ્યો છે.


પ્રસ્તાવિત રિપોર્ટ લોકસભા, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ એટલે કે સામાન્ય મતદાર યાદી તરફ પણ ધ્યાન ખેંચે છે. હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે અલગ-અલગ મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવે છે. સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાર યાદી રાજ્ય ચૂંટણી પંચની દેખરેખ હેઠળ છે.


આ રિપોર્ટના પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની માહિતી આપવામાં આવી છે. બીજા તબક્કામાં નગરપાલિકાઓ અને પંચાયતોને લોકસભા અને વિધાનસભા સાથે એવી રીતે જોડવાનું કહેવામાં આવ્યું છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના 100 દિવસમાં સંસ્થાઓની ચૂંટણીઓ હાથ ધરવામાં આવે.


અગાઉ, સમિતિના એક સભ્યએ નામ ન આપવાની શરતે પુષ્ટી કરી હતી કે સમિતિ 2029 માં એકસાથે ચૂંટણી યોજવાનું સૂચન કરશે. આને લગતા પ્રક્રિયાત્મક અને તાર્કિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે


સમિતિના બીજા સભ્યએ પણ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે સમિતિ માને છે કે તેની તમામ ભલામણો સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ હોવી જોઈએ, પરંતુ તેને સ્વીકારવી કે નકારી કાઢવી તે સરકાર પર નિર્ભર છે.


બીજા સભ્યએ એમ પણ કહ્યું કે અહેવાલમાં 15મા નાણાપંચના અધ્યક્ષ એનકે સિંઘ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રાચી મિશ્રા દ્વારા એકસાથે ચૂંટણીની આર્થિક શક્યતા પર એક પેપર સામેલ છે. રિપોર્ટમાં એક સાથે ચૂંટણી યોજવા માટે જરૂરી નાણાકીય અને વહીવટી સંસાધનોનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. પંચે તેની વેબસાઈટ દ્વારા અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરો સહિત વિવિધ હિતધારકો તરફથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લીધા છે.


આ કારણે બંધ થઇ હતી એકસાથે ચૂંટણી


એક મીડિયા રિપોર્ટ અનુસાર, રિપોર્ટમાં 1951-52 અને 1967 વચ્ચેની ત્રણ ચૂંટણીના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં દલીલ એ છે કે પહેલાની જેમ એકસાથે ચૂંટણી કરવાનું હજુ પણ શક્ય છે. એવું નોંધવામાં આવ્યું હતું કે એક સાથે ચૂંટણીઓ યોજવાનું બંધ થઈ ગયું હતું જ્યારે કેટલીક રાજ્ય સરકારો તેમના કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા પડી ગઇ હતી  જેના કારણે નવી ચૂંટણીઓ યોજવાની જરૂર પડી હતી.