Opposition Meeting : 2024માં ભાજપ-NDAનો સામનો કરવા વિરોધ પક્ષો મહાગઠબંધન રચવા માટે ભારે મથામણ કરી રહ્યાં છે પણ આ પ્રયાસને કમ્મરતોડ ફટકો પડ્યો છે. મોદી સરકાર વિરૂદ્ધ હંમેશા આક્રમક મૂડમાં રહેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જ 17 જુલાઈના રોજ વિપક્ષના ડિનરમાં હાજર નહીં રહે. 


જોકે મમતા બેનરજી આ વિપક્ષના ડિનરમાં નહીં આપવા પાછળનું કારણ તેમની સર્જરી બાદના 'પ્રોટોકોલ'નું પાલન છે. જોકે મમતા 18 જુલાઈના રોજ વિરોધ પક્ષોની દિવસભરની બેઠકમાં હાજરી આપશે. બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સૂત્રોએ આજે આ જાણકારી આપી હતી.


બેનર્જીએ ગુરુવાર, 13 જુલાઈના રોજ કોલકાતાની સરકારી SSKM હોસ્પિટલમાં તેમના ડાબા ઘૂંટણની માઇક્રોસર્જરી કરાવી હતી. 27 જૂને, ઉત્તર બંગાળના સેવોક એરબેઝ પર હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટીએમસીના વડાને તેમના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી.


TMCએ શું કહ્યું?


ટીએમસીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, મમતા બેનરજીના ડોકટરોએ તેમને મુસાફરી કરવાની અને વિપક્ષની બેઠકમાં હાજરી આપવાની પરવાનગી આપી છે, પરંતુ તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેથી તે રાત્રિભોજનમાં ભાગ લેશે નહીં, પરંતુ 18 જુલાઈએ દિવસભરની બેઠકમાં હાજરી આપશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 17 જુલાઈએ બેંગલુરુમાં વિરોધ પક્ષો માટે ડિનરનું આયોજન કર્યું છે.


તે પ્રથમ વખત હશે?


સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ'બ્રાયન બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની સાથે રહેશે અને તેમના પ્રતિનિધિ તરીકે રાત્રિભોજનમાં હાજરી આપે તેવી શક્યતા છે.


તેમના ડૉક્ટરની સલાહ મુજબ, બેનર્જી કોન્ફરન્સ બાદ તરત જ કોલકાતા પરત ફરશે. પશ્ચિમ બંગાળમાં હિંસાગ્રસ્ત પંચાયત ચૂંટણી પછી આ પહેલી વાર છે જ્યારે ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ટોચના નેતાઓ એક સાથે બેસશે.


કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સોમવાર, 18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બીજી બેઠકમાં હાજરી આપશે. આ બેઠક માટે આમ આદમી પાર્ટી (AAP) સહિત 24 વિરોધ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં કોણ કોણ હાજર રહેશે તેના પર દેશ આખાની નજર રહેશે. 


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય રહી ગયો છે. પરંતુ મહાગઠબંધનને લઈને ના તો કોઈ ચોક્કસ જોડાણ થયું છે અને ના તો કોઈ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તેથી આ ગઠબંધન પર જ અનેક પ્રકારની શંકા કુશંકા સેવાઈ રહી છે. 


https://t.me/abpasmitaofficial