નવી દિલ્હી:  કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એક મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલા અંગે કહ્યું કે તત્કાલીન યુપીએ સરકાર પર ભારે આંતરરાષ્ટ્રીય દબાણ હતું. વિદેશ મંત્રાલયના વલણને જોતાં પાકિસ્તાન સામે બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી ન હતી. પી ચિદમ્બરમે કહ્યું કે તેમણે બદલો લેવાનું વિચાર્યું હતું, પરંતુ સરકાર તેનાથી સહમત નહોતી. આ ખુલાસા પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રતિક્રિયા આપી છે.

પી ચિદમ્બરમે એબીપી લાઈવ સાથે ખાસ વાત કરતા  કહ્યું, "હું ગૃહમંત્રી એ દિવસે  બન્યો જ્યારે આતંકવાદીઓ માર્યા હતા.  છેલ્લા આતંકવાદીને 30 નવેમ્બરે  માર્યો હતો. મને લાગે છે કે તે રવિવારનો દિવસ હતો,  જ્યારે પ્રધાનમંત્રીએ મને બોલાવ્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે તમને નાણા મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાં મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ હું તેના માટે તૈયાર નહોતો. તેમણે કહ્યું અમે પહેલાથી જ નિર્ણય લઈ ચૂક્યા છીએ."

પાકિસ્તાન સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી ?

ચિદમ્બરમે કહ્યું, "મને સુરક્ષા દળોની તૈયારીઓ વિશે ખબર નહોતી." મને આપણી ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની કોઈ જાણકારી નહોતી. મને ગુપ્તચર એજન્સીઓ દ્વારા પાકિસ્તાન અને પડોશમાં  બનાવવામાં આવેલા સંસાધનો વિશે કોઈ જાણકારી નહોતી. મારા મનમાં આવ્યું કે બદલો લેવો જોઈએ. મે પ્રધાનમંત્રી અને અન્ય ખાસ લોકો સાથે આ મામલે વાત કરી, પરંતુ નિષ્કર્ષ મોટાભાગે  વિદેશ મંત્રાલય (MEA) અને IFS થી પ્રભાવિત હતો કે આપણે પરિસ્થિતિ પર સીધી પ્રતિક્રિયા ન આપવી જોઈએ, પરંતુ તેની જગ્યાએ કૂટનીતિક અભિગમ અપનાવવો જોઈએ."

પ્રધાનમંત્રી મનમોહન સિંહને  મળવા આવ્યા હતા અમેરિકી વિદેશ મંત્રી 

તેમણે સ્વીકાર કરતા કહ્યું, " એ સમયે અમેરિકી વિદેશ મંત્રી કોંડોલીઝા રાઈસ, મારા પદ સંભાળવાના બે-ત્રણ દિવસ બાદ મને અને પ્રધાનમંત્રીને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રતિક્રિયા ન આપો."

ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું

ચિદમ્બરમના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.  કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, "ભૂતપૂર્વ ગૃહમંત્રીએ 17 વર્ષ પછી જે સ્વીકાર્યું છે તે દેશ પહેલાથી જ જાણતો હતો. વિદેશી તાકાતના દબાવમાં 26/11 ના હુમલાને યોગ્ય રીતે સંભાળવામાં ન આવ્યો. હવે ખૂબ મોડું થઈ ગયું છે."