નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનમાં તણાવની વચ્ચે દેશને મોટી કૂટનીતિક જીત મળી છે. ભારતના ભારે દબાણની સામે પાકિસ્તાન ઘૂંટણીયે પડવા મજબૂર બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને માત્ર 24 કલાકમાં જાહેરાત કરવી પડી કે તે ભારતીય પાયલટ અભિનંદનને આજે છોડી મુકશે. કૂટનીતિક દબાણ અને ભારતીય સૈન્ય તાકાત આગળ લાચાર પાકિસ્તાન હવે ભારત સાથે વાતચીત કરવા ધમપછાડા કરી રહ્યું છે.




પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરવા માગે છે. સૂત્રો અનુસાર તેના માટે પાકિસ્તાને સત્તાવાર રીતે ભારત સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. જણાવીએ કે, સંસદના સંયુક્ત સત્રમાં પોતાના ભાષણ દરમિયાન ઇમરાન ખાને કહ્યું હતું કે, મેં નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ વાત ન થઈ શકી.