જમ્મુ કાશ્મીર : પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર નથી આવી રહ્યું. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં બોર્ડર અને લાઈન ઓફ કંટ્રોલ પર છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું 8571 વખત યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું છે. જ્યારે આ વર્ષે જુલાઈ સુધીમાં પાકિસ્તાન સરહદ પર 2952 વખત ગોળીબાર કરી ચૂક્યું છે. જેમાં 15 નાગરિકો અને 8 જવાનોએ જીવ ગુમાવ્યા છે.


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં આ જાણકારી આપી છે. આંકડા અનુસાર જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પર દરરોજ સરેરાશ 9 વખત ફાયરિંગ થાય છે. જમ્મુના આરટીઆઈ કાર્યકર્તા રમન શર્માએ કરેલી આરટીઆઈમાં ગૃહમંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાન જાન્યુઆરી 2018થી જુલાઈ 2020 સુધી સરહદ પર 8571 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.

પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા અને એલઓસી પર કરેલી ગોળીબારમાં જાન્યુઆરી 2018થી જુલાઈ 2020 સુધી 119 લોકોને પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં 56 જવાનોની શહાદત પણ સામેલ છે. આ જાણકારી અનુસાર , જો સરહદ પર થઈ રહેલી ગોળીબારીની સરખામણી વર્ષ 2010 સાથે કરવામાં આવે તો 2019માં આ ઘટનાઓમાં 50 ટકાનો વધારો થયો છે. જ્યારે 2020માં અત્યાર સુધી સરહદ પર આ ઘટનાઓ 60 ટકા ઘટી છે.

ગૃહમંત્રાલયે દાવો કર્યો છે કે, વર્ષ 2010થી જુલાઈ 2020 સુધી પાકિસ્તાને સરહદ પર 11572 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં.122 સામાન્ય નાગરિકના મોત થયા છે. જ્યારે 118 સુરક્ષાદળના જવાનો પણ શહીદ થયા છે.