પાકિસ્તાનના PM ઈમરાન ખાનની જાહેરાત- પાયલટ અભિનંદનને કાલે ભારતને પરત કરશે
abpasmita.in | 28 Feb 2019 05:10 PM (IST)
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મોટી જાહેરાત કરી છે. પીએમ ઈમરાન ખાને જાહેરાત કરી છે કે પાકિસ્તાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને કાલે ભારતને પરત કરશે. મોટી વાત એ છે કે ઈમરાન ખાને આ જાહેરાત પાકિસ્તાનની સંસદમાં કરી છે. પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને કહ્યું, શાંતિનો સંકેત આપતા અમે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને કાલે ભારતને પરત કરીશું. ઈમરાન ખાનની આ જાહેરાત બાદ ત્યાં હાજર સાંસદોએ તાળીઓ પાઢી હતી. પાયલટ અભિનંદનને કાલે વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકના આગળના દિવસે પાકિસ્તાની વિમાનોએ જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી સેક્ટરમાં ભારતીય વાયુ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતે એક પાકિસ્તાની વિમાનને ધ્વસ્ત કર્યું હતું. આ સંઘર્ષમાં ભારતીય વાયુસેનાનું પણ એક મિગ-2 ક્રેશ થયુ હતું અને વાયુસેનાના પાયલટ અભિનંદનને પાકિસ્તાને ધરપકડ કરી લીધી હતી.