નવી દિલ્હી: બજેટ સત્રની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા સચિવાલય મુજબ, સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થશે અને બે ભાગમાં 8 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન એક ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકિય વર્ષ 2021-22 સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.


બજેટ સત્રની બેઠક 29 જાન્યુઆરીના રોજ સંસદના કેંદ્રીય ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે. રામનાથ કોવિંદ 29 જાન્યુઆરીના રોજ 11 કલાકે સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યાર બાદ એક ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

લોકસભા સચિવાલય તરફથી મળતી માહિતી મુજબ બજેટ સત્ર નિયમો પ્રમાણે બે ભાગમાં યોજાશે. પ્રથમ ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. જ્યારે બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જોઈએ તો, કોરોના મહામારીથી બચવા માટે સરકારે આપેલા દિશાનિર્દેશોનું પણ પાલન કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીના કારણે કેન્દ્ર સરકારે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નથી બોલાવ્યું. ચોમાસુ સત્રનો સમયગાળો પણ ટૂંકાવી દીધો હતો. કારણ કે, આ દરમિયાન કેટલાય સાંસદો અને મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.