નવી દિલ્હી: એસસી-એસટી એક્ટમાં સુધારાના બિલને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ હવે સુપ્રીમ કોર્ટ તરફથી આ એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડની જોગવાઈ ઉપર મુકવામાં આવેલા સ્ટેનો પણ અંત આવી ગયો છે. આ બિલ સંસદનાં બંને સદનમાંથી પસાર થઇ ગયા છે. હવે આ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. બિલ પર રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષર થતાં જ આ કાયદાકીય રૂપ ધારણ કરશે. આ મોકા પર સરકારે કહ્યું કે તેઓ સારી દાનત, સારી નીતિ અને સારી કાર્યયોજનાની સાથે આ વર્ગોનાં હકોનાં સંરક્ષણને માટે પ્રયાસરત છે.


સુપ્રીમ કોર્ટે આ વર્ષે 19મી મેના દિવસે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક ધરપકડ ઉપર સ્ટે મુકી દીધો હતો. મોટાપાયે આ કાયદાના વ્યાપક ઉપયોગને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશભરમાં દલિત સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ સંગઠનોએ કોર્ટના આ ચુકાદાને ફેરવી કાઢવા સરકારને અપીલ કરવામાં આવી હતી.

આ ચુકાદાને દલિતોની સામેના ચુકાદા તરીકે ગણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. દલિત સમુદાય વચ્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જોરદાર વિરોધ પ્રદર્શનને લઇને ભાજપના સાથી પક્ષોએ પણ સરકાર ઉપર દબાણ લાવ્યું હતું. એટલું જ નહીં. પાર્ટીના દલિત સાંસદોએ પણ જુના એક્ટને લાગૂ કરવા માટે માંગ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી નાંખવા માટે સુધારા બિલ લાવવાનો નિર્ણય કર્યો હતો. આ મામલા ઉપર સુપ્રીમ કોર્ટે ફેર વિચારણા અરજીને ફગાવી દીધી છે. હવે સુધારવામાં આવેલા બિલમાં એવી તમામ જોગવાઈને ફરી સામેલ કરવામાં આવી છે જે જોગવાઈને સુપ્રીમ કોર્ટે પોતાના આદેશથી દૂર કરી દીધી હતી.