Patra Chawl Land Scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ રવિવારે   પતરા ચાલ  જમીન કૌભાંડ કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ તેમની અટકાયત કરી હતી. EDને સંજય રાઉતના ઘરેથી 11.5 લાખ રૂપિયા મળ્યા છે. ED શિવસેનાના નેતા સંજય રાઉત પાસેથી માહિતી માંગી રહી છે કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. EDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સંજય રાઉત આ પૈસા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી શક્યા નથી, ત્યાર બાદ આ પૈસા જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે.


જો કે આ દરમિયાન સંજય રાઉતના વકીલે દાવો કર્યો છે કે તેમને ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. સંજય રાઉતના વકીલે કહ્યું કે EDને કેટલાક દસ્તાવેજો જોઈતા હતા અને અમને નવેસરથી સમન્સ આપવામાં આવ્યા હતા. સંજય રાઉત આ અંગે પોતાનું નિવેદન નોંધવા EDની ઓફિસમાં ગયા છે. તેમની ધરપકડ કરવામાં આવી નથી. આ પહેલા EDએ સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. EDના અધિકારીઓ સવારે 7 વાગ્યાની આસપાસ સંજય રાઉતના મુંબઈ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. સંજય રાઉતની લગભગ 9 કલાક પૂછપરછ કર્યા બાદ EDના અધિકારીઓ તેને પોતાની સાથે લઈ ગયા હતા.


પહેલા પણ તપાસ થઈ હતી


આ વર્ષે 28 જૂનના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંજય રાઉતને રૂ. 1,034 કરોડના  પતરા ચાલ  જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. સંજય રાઉતની 1 જુલાઈના રોજ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી, તેને વધુ બે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. સંજય રાઉતે તપાસમાં જોડાવાનો ઇનકાર કરતા સંસદના ચોમાસુ સત્રને તપાસમાં સામેલ ન થવાનું કારણ ગણાવ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં, EDએ તેની તપાસના ભાગરૂપે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેના બે સહયોગીઓની રૂ. 11.15 કરોડથી વધુની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી હતી.