પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ માટે કોરોના જવાબદાર, ભાજપના ક્યા નેતાએ કરી આ વાહિયાત વાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Feb 2021 10:12 AM (IST)
પેટ્રોલ ડિઝલના સતત ભાવ વધી રહ્યાં છે. આ સ્થિતિમાં વિપક્ષ સતત સરકારને નિશાન બનાવી રહી છે. જો કે આ બધા જ વચ્ચે ભાજપના બે નેતાએ વિચિત્ર નિવેદન આપ્યું છે. પેટ્રોલ ડિઝલના વધતા ભાવ માટે તેમણે કોરોનાની મહામારીને જવાબદાર ગણાવી છે.
પેટ્રોલ ડિઝલના સતત વધતા જતા ભાવના કારણે જનતા પરેશાન છે તો વિપક્ષ પણ સતત સરકાર પર નિશાન સાધી રહી છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો. દિલ્હી ના બજારમાં પેટ્રોલ 24 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હી માં એક લીટર પેટ્રોલ નો ભાવ 91.19 રૂપિયા પર જતું રહ્યું છે. તો બીજી તરફ ડીઝલપણ 17 પૈસા મોંઘું થયું છેઅને ભાવ વધીને 81.47 રૂપિયા પર પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 88.31 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદ માં આજે ડીઝલનો ભાવ 87.74 રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 88.08 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ 87.57 રૂપિયા પ્રતિ લીટર હતો. આજે પેટ્રોલની કિંમતમાં થયો પ્રતિ લિટરે 23 પૈસાનો વધારો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 16 પૈસાનો વધારો થયો છે. સતત ભાવ વધારાની વચ્ચે ભાજપના બે નેતાઓએ ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડિઝલના વધતા ભાવ માટે કોરોનાને જવાબદાર ગણાવ્યો છે. તો હરિયાણાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડે પણ પેટ્રોલ, ડિઝલના વધતા ભાવ માટે કોરોનાની મહામારીને જવાબદાર ગણાવી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભાવ માટે શિયાળાની સિઝનને પણ જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું શિયાળાની સિઝનમાં માંગ વધુ હોય છે તેથી હાલ વૈશ્વિક સ્તરે ભાવ ઉંચા હોવાથી પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. પરંતુ, ટૂંક સમયમાં શિયાળા બાદ ભાવ ઓછો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.