વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે ત્રિનિદાદ અને ટોબૈગોનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'The Order of the Republic of Trinidad & Tobago'  એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેમને દેશની મુલાકાત દરમિયાન આપવામાં આવ્યું હતું. આ સન્માન સ્વીકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું, "હું 140 કરોડ ભારતીયો વતી આ સન્માન સ્વીકારું છું."

 વાસ્તવમાં ત્રિનિદાદ અને ટોબૈગોના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસ્સેસર અને સમગ્ર મંત્રીમંડળે પિઆર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગત સમારોહની ખાસ વાત એ હતી કે તમામ મંત્રીઓ પરંપરાગત ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા. ભારતીય પૌરાણિક પાત્રોના પોશાક પહેરેલા કલાકારોએ એરપોર્ટ પર સાંસ્કૃતિક પ્રદર્શન કર્યું હતુ, જે પીએમ મોદી હોટલ પહોંચ્યા ત્યાં સુધી ચાલુ રહ્યું હતું. 

પીએમ મોદીએ ત્યાં સંસદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મને આ પ્રતિષ્ઠિત રેડ હાઉસમાં તમારી સાથે વાત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હોવાનો ગર્વ છે. આ ઐતિહાસિક લાલ ઇમારત સ્વતંત્રતા અને સન્માન માટે ત્રિનિદાદ અને ટોબૈગોના લોકોના સંઘર્ષ અને બલિદાનનું સાક્ષી રહી છે. આપણા બંને રાષ્ટ્રો વસાહતી શાસનના પડછાયામાંથી બહાર આવ્યા અને સ્યાહીના રૂપમાં સાહસ અને કલમ તરીકે લોકશાહી સાથે પોતાની વાર્તાઓ લખી હતી.

બિહારનું યોગદાન દુનિયાને રસ્તો બતાવે છે

 તેમણે કહ્યું હતું કે આજે આપણા બંને દેશો આધુનિક દુનિયામાં ભવ્ય લોકશાહી અને શક્તિના સ્તંભ તરીકે ઉભા છે. તમે બધા જાણો છો કે ભારતમાં લોકશાહી ફક્ત એક રાજકીય મોડલ નથી. આપણા માટે તે જીવન જીવવાનો એક માર્ગ છે, હજારો વર્ષોનો આપણો મહાન વારસો છે.

પીએમ મોદીએ બિહારના વારસા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે બિહારનો વારસો ભારત અને દુનિયાનું ગૌરવ છે. બિહારે લોકશાહી, રાજકારણ અને રાજદ્વારી જેવા અનેક ક્ષેત્રોમાં સદીઓથી દુનિયાને રસ્તો બતાવ્યો છે. 21મી સદીમાં પણ બિહારમાંથી નવી તકો જન્મશે. આ સંસદમાં ઘણા મિત્રો છે જેમના પૂર્વજો બિહારના છે. તે બિહાર જે મહા-જનપદો એટલે કે પ્રાચીન પ્રજાસત્તાકોની ભૂમિ છે.

ભારતીય મૂળના નાગરિકો માટે એક મોટી ભેટ

હોટલમાં પ્રવાસી ભારતીયોએ 'ભારત માતા કી જય' અને 'મોદી-મોદી' ના નારા સાથે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમણે પોતાની માટી છોડી દીધી પણ પોતાનો આત્મા નહીં. તેઓ ફક્ત પ્રવાસી કરનારા નહોતા, તેઓ એક કાલાતીત સભ્યતાના સંદેશવાહક હતા. 

એક મોટી જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે ભારતીય મૂળની છઠ્ઠી પેઢી સુધીના ભારતીય મૂળના નાગરિકોને OCI (Overseas Citizenship of India) કાર્ડ માટે પાત્રતા આપવામાં આવશે. આનાથી તેમને ભારતમાં રહેવા અને કામ કરવાનો કાયદેસર અધિકાર મળશે.