પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદથી હિંસા શરૂ થઇ ગઈ છે, વિવિધ વિસ્તારોમાં તોડફોડ અને આગ લગાડવાના બનાવો બની રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.



પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વિટ કરતા લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ ફોન કરીને કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળના ગર્વનર જગદીપ ધનખડે આ સાથે મમતા બેનર્જીને પણ ટેગ કર્યા છે. આગળ તેમણે લખ્યું છે કે બંગાળમાં હિંસા (Bengal Violence), બર્બરતા, લૂટ અને બેરોકટોક થતી હત્યાઓ અંગે PMO સાથે ગંભીર ચિંતા શેર કરી છે.


કેંદ્રીય ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. આજે જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળ જઈ રહ્યા છે અને પીડિત કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ભાજપ મુજબ, મમતા બેનર્જીની તૃણમૂલ સરકારના શાસનમાં અત્યાર સુધીમાં 140થી વધારે ભાજપના કાર્યકર્તાઓની હત્યા થઈ ગઈ છે. તેમ છતા રાજ્ય પ્રશાસન આંખ બંધ કરીને બેસી રહ્યું છે. ચૂંટણી પરિણામના 24 કલાક અંદર જ ભાજપના ઘણા કાર્યકર્તાઓની હત્યાની સમાચાર છે. ઘણા ભાજપના કાર્યકર્તાઓના ઘર અને દુકાન સળગાવી દેવામાં આવી છે.


ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે નંદીગ્રામ, કોલકાતા, આસનસોલ સહિતના ઘણા વિસ્તારોમાં તેમના સમર્થકો, કાર્યકરોની દુકાન લૂંટી લેવામાં આવી છે અને મકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. એટલું જ નહીં, મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, જ્યારે ઘણાં કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. 



5 મેના દિવસે સમગ્ર દેશમાં ધરણા
ચૂંટણી પરિણામ આવ્યા બાદ હુમલા અને હત્યાની ઘટનાઓને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળ જઈ કાર્યકર્તાઓનું મનોબળ વધારવાનો નિર્ણય લીધો છે. તેઓ આજે અને પાંચ મે બે દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં રહીને હિંસાના શિકાર પરિવારને મળશે અને સંવેદનાઓ વ્યક્ત કરશે. ભારતીય જનતા પાર્ટીએ રાજકીય હિંસા વિરુદ્ધ 5 મેના દેશવ્યાપી ધરણા પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.