નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ ભારત અને બ્રાઝીલ વચ્ચે રણનીતિક સંબંધોને નવી ગતિ આપવા માટે શનિવારે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ચર્ચા બાદ બંન્ને પક્ષોએ નિવેદન જાહેર કર્યા હતા. આ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ બોલસોનારો અને તેમના ઉચ્ચસ્તરીય ડેલિગેશનનું હું ભારતમાં સ્વાગત કરું છું. છેલ્લા આઠ મહિનામા આ અમારી ત્રીજી મુલાકાત છે. આ અમારી વચ્ચે વધતી મિત્રતા અને બંન્ને દેશો વચ્ચે ગાઢ સંબંધને દર્શાવે છે.




બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેએમ બોલસોનારોએ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા બાદ કહ્યું કે, અમે આપણા દ્ધિપક્ષીય સંબંધોને ગાઢ બનાવ્યા છે. સાથે અમે 15 મહત્વના મુદ્દાઓ પર હસ્તાક્ષર કર્યા છે. મોદીએ કહ્યું કે, ભારત અને બ્રાઝીલ વચ્ચે જૈવ ઉર્જા, પશુધન, સ્વાસ્થ્ય, પારંપરિક ઔષધિ, સાઇબર સુરક્ષા, તેલ અન ગેસ તથા સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણા સહયોગમાં વધારો થયો છે. આજે અમે નક્કી કર્યું છે કે બંન્ને દેશો બહુપક્ષીય મુદ્દાઓ પર પોતાનો સહયોગ દઢ કરશે. અમે સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય ઇન્ટરનેશનલ સંગઠનોમાં આવશ્યક સુધારા માટે સાથે મળીને કાર્ય કરીશું.