નવી દિલ્હીઃ અયોધ્યામાં આજે બપોરે 12 વાગીને 40 મિનીટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે. રિપોર્ટ છે કે, ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકૉપ્ટર લખનઉથી અયોધ્યા નહીં જાય તો પીએમ મોદી સડક માર્ગથી આવશે.


છેવટે રામભક્તોનો વર્ષોનો ઇન્તજાર ખતમ થઇ રહ્યો છે. રામ મંદિર ભૂમિ પૂજનને લઇને તૈયારીઓ પુરી થઇ ગઇ છે, ડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રામ મંદિરની પહેલી ઇંટ એટલે કે 40 કિલોગ્રામની ચાંદીની ઇંટ મૂકીને ભૂમિ પૂજન કરશે. આને લઇને દેશવાસીઓમાં ખુબ ઉત્સાહ છે. દરેક વ્યક્તિ સોશ્યલ મીડિયા પર પોતાની લાગણીઓને વ્યક્ત કરી રહ્યાં છે. અયોધ્યા નગરીને આજે એક દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. ઠેર ઠેર કલાકૃતિઓમાં રામના જીવન ચરિત્રની પેટિંગ દેખાઇ રહી છે. ફ્લાયઓર, પાર્ક અને તમામ મહત્વની જગ્યાઓને યોગ્ય રીતે સજાવવામાં આવી છે. શનિવારથી અયોધ્યા નગરીના કેટલાય ભાગમાં રોશનીથી જગમગાટ થઇ રહ્યો છે.

સરયુ ઘાટને લઇને કેટલાય અન્ય સ્થળો પર કરવામાં આવેલી લાઇટિંગમાં અયોધ્યા નગરી અલગ જ રૂપરંગમાં નીખરી ઉઠી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે ભૂમિ પૂજન પહેલાના ત્રણ દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ સર્જાઇ જશે.



અયોધ્યામાં વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

- 5મી ઓગષ્ટે સવારે 9:35 કલાકે દિલ્હીથી પ્રસ્થાન
- 10:35 કલાકે લખનૌ એરપોર્ટ ખાતે લેન્ડિંગ
- 10:40 કલાકે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા માટે પ્રસ્થાન
- 11:30 કલાકે અયોધ્યાની સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ
- 11:40 કલાકે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ સુધી દર્શન-પૂજન
- 12 કલાકે રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ
- 10 મિનિટમાં રામલલ્લા બિરાજમાન સ્થળે દર્શન પૂજન
- 12:15 કલાકે રામલલ્લા પરિસરમાં પારિજાતનું વૃક્ષારોપણ
- 12:30 કલાકે ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ
- 12:40 કલાકે રામ મંદિરની આધારશિલાની સ્થાપના
- 02:05 કલાકે સાકેત કોલેજ હેલિપેડ માટે પ્રસ્થાન
- 02:20 કલાકે હેલિકોપ્ટર દ્વારા લખનૌ માટે ઉડાન
- ત્યાર બાદ લખનૌથી દિલ્હી માટે રવાના થશે



આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં કેટલીય રેલીઓ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ રામલલ્લાના દર્શને નથી ગયેલા, હવે પહેલીવાર તે રામ જન્મભૂમિમાં હાજરી આપશે. કોરોના સંકટને લીધે અહીં આકરા નિયમોનું પાલન કરાવવામાં આવશે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું ફરજિયાત અને સતત સેનિટાઈઝેશનનો સમાવેશ થાય છે.



ખાસ વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર ટ્રસ્ટના નૃત્યગોપાલ દાસ ઉપસ્થિત રહેશે. તે સિવાય કુલ 175 વિશિષ્ટ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.