નવી દિલ્હી: દેશમાં કોવિડ-19ની રસી બનાવવા માટે ઝડપી કામગીરી ચાલી રહી છે. ભારતમાં પણ 3 શહેરોમાં કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કોરોના રસીના નિર્માણની પ્રક્રિયા કેટલી આગળ વધી છે એનો તાગ મેળવવા માટે આવતી કાલે ત્રણ શહેરોની મુલાકાત લેવાના છે.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ઝાયડસમાં બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કરવા આવતીકાલે અમદાવાદ આવશે. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પ્રધાનમંત્રીની મુલાકાતની જાણકારી આપી હતી. 2 કલાકનો સમય કાઢીને ઝાયડસના પ્લાન્ટમાં વેક્સિન અંગે માહિતી મેળવશે. અમદાવાદમાં આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લેવાના છે. એ પછી હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેવાના છે.

પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈને અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઝાયડસના પ્લાન્ટ ફરતે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદી આવતી કાલે સવારે લગભગ 8.55 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ તેઓ પ્લાન્ટની મુલાકાત લેવા જશે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની બે ટ્રાયલ પૂર્ણ કરી લેવામાં આવી છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા દવાઓનો 10 કરોડ ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પછી બપોરે 12:30 કલાકે પુણે જશે. ત્યાં તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. જ્યાં લગભગ એક કલાક સુધી રહેશે. ત્યાંના રોકાણ દરમિયાન મોદી કોરોના રસી નિર્માણમાં થયેલી પ્રગતિ વિશેની જાણકારી મેળવશે. પુણે બાદ તેઓ હૈદરાબાદ માટે જવા રવાના થશે.