વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'PM જન મન યોજના' હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે. આ પૈસાથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના માટે પસંદ કરાયેલા લોકો માટે ઘરોના નિર્માણ માટે આ પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવશે.






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 જાન્યુઆરીએ બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી. 15 જાન્યુઆરીએ આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદી દેશના 100 જિલ્લાના એક લાખ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાત કરશે.


દેશના 100 જિલ્લાઓમાં વિવિધ કેન્દ્રો પર એકત્ર થયેલા પીએમ જન મન યોજનાના લાભાર્થીઓ સાથે મોદીના વાતચીતના અવસર પર કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ પણ હાજર રહેશે. આ પ્રસંગે અધિકારીઓ એક લાખ લાભાર્થીઓને આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, જન ધન એકાઉન્ટ અને અન્ય યોજનાઓના લાભ પત્રોનું વિતરણ કરશે. આ કેન્દ્ર મારફતે લોકો વિવિધ યોજનાઓ અને તેના લાભો વિશે માહિતી મેળવી શકશે.


વાસ્તવમાં કેન્દ્ર સરકારે દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓના વિકાસ માટે પીએમ જન મન યોજના શરૂ કરી હતી. આ માટે નવ મુખ્ય મંત્રાલયો માટે એક યોજના હેઠળ એક સાથે કામ કરવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ યોજના માટે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને વધારીને 24 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું.


મળતી માહિતી મુજબ પીએમ જન મન યોજના હેઠળ 4.90 લાખ મકાનો બનાવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 લાખ મકાનોના નિર્માણ માટે ફંડ જાહેર કરશે. બાકીના મકાનો માટેનું ફંડ આગામી સમયમાં બહાર પાડવામાં આવશે. તેવી જ રીતે આદિવાસીઓના હિત માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેનો લાભ તેમને આપવામાં આવશે.