નવી દિલ્હીઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ સિનેમા અને રંગમંચની દુનિયા માટે એક મોટી ક્ષતિ છે.


લાંબા સમયથી કેન્સર સામે જંગ લડી રહેલા બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાને 54 વર્ષની વયે મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે એક્ટરના ચાહકો અન ફિલ્મી જગત શોકાતુર થઇ ગયુ હતુ.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું- ઇરફાન ખાનનું નિધન સિનેમા અને રંગમંચની દુનિયાની એક ક્ષતિ છે. તેને જુદાજુદા માધ્યમોમાં તેના બહુમુખી પ્રદર્શન માટે યાદ કરવામાં આવશે. અમે તેના પરિવાર, દોસ્તો અને પ્રસંશકોની સાથે છીએ. તેમની આત્માને શાંતિ મળે.



વળી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ઇરફાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને લખ્યું- ઇરફાનના નિધન પર દુઃખી છું, તે એક બહુમુખી પ્રતિભાના અભિનેતા હતા, જેની કલાએ વૈશ્વિક ખ્યાતિ અને ઓળખ અર્જિત કરી હતી. ઇરફાન અમારા ફિલ્મ ઉદ્યોગ માટે એક સંપતિ હતો. દેશે એક અસાધારણ અભિનેતા અને દયાળુ આત્માને ખોઇ દીધી છે. તેના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.