નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની લગભગ એક સપ્તાહની યાત્રા બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તથા હાઉડી મોદી સહિત અનેક કાર્યક્રમોમાં સંબોધિત કર્યા હતા. ભાજપે પાલમ ટેકનિકલ એરિયા બહાર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 2014માં પણ ચૂંટણી જીત્યા બાદ હું અમેરિકા, યુએનની સમિટમાં ગયો હતો અને 2019માં પણ ગયો. દુનિયાની નજરોમાં ભારત પ્રત્યે માન સન્માન અને આદર વધ્યો છે. જેનું મુખ્ય કારણ 130 કરોડ હિંદુસ્તાની છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દુનિયાભરમાં ભારતની સ્વીકૃતિ વધી છે. ભારત પ્રત્યે આદરનો ભાવ વધ્યો છે. જેનો પુરો શ્રેય દેશ અને દુનિયાભરમાં વસતા આપણા ભાઇ-બહેનોને જાય છે. આ વખતે મેં અમેરિકામાં તેનું એક વિરાટરૂપ જોયું છે. વિશ્વભરમાં ફેલાયેલા આપણા ભારતીયોએ પોત-પોતાના દેશોમાં એ દેશના લોકોનો પ્રેમ હાંસલ કર્યો છે. આ ભારતનું ગૌરવ વધારનાર છે.


હાઉડી મોદી સમારોહને લઇને મોદીએ કહ્યું કે, તે સમારોહમાં તેની વિશાળતા અને ભવ્યતા, ટ્રમ્પનું ત્યાં આવવું દુનિયાને અમારી દોસ્તીનો અહેસાસ થશે. આટલા ઓછા સમયમાં અમેરિકાના આપણા ભાઇઓ-બહેનોએ જે શક્તિનું પ્રદર્શન કર્યું તે તેની ચારેકોર પ્રશંસા થઇ રહી હતી.


સર્જિકલ સ્ટ્રાઇકને લઇને તેમણે કહ્યું કે, આજે 28 સપ્ટેમ્બર છે. ત્રણ વર્ષ અગાઉ આ તારીખે હું આખી રાત એક ક્ષણ પણ ઉંઘ્યો નહોતો. આખી રાત જાગતો રહ્યો હતો. તમામ ક્ષણ ટેલિફોનની રિંગ ક્યારે વાગશે તેની રાહ જોઇ રહ્યો હતો. તે 28 સપ્ટેમ્બરના રોજ ભારતના વીર જવાનોનું પરાક્રમ એક સ્વર્ણિમગાથા લખનાર હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ત્રણ વર્ષ અગાઉ 28ની રાત્રે જ મારા દેશના વીર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતની આન-બાન-શાનને દુનિયા સામે પ્રસ્તૃત કરી હતી. હું આજે તે દિવસને યાદ કરીને આપણા વીર જવાનોના સાહસને પ્રણામ કરું છું અને તેમને અભિનંદન આપું છું.
અમેરિકાથી પરત ફર્યા PM મોદી, કહ્યુ- દુનિયાની નજરોમાં વધ્યું ભારતનું માન